-
પાલિકાના વોર્ડ નં 2માં ડ્રેનેજનો મામલો
-
હુસેનીયા નગર 2માં ડ્રેનેજની કામગીરી અટવાય
-
સ્થાનિકોની રજૂઆત બાદ પણ કામગીરી થઈ નહીં
-
પાલિકા તંત્ર સામે સ્થાનિકોમાં આક્રોશ
-
ત્વરિત કામગીરી શરૂ કરવાની કરી માંગ
-
ડ્રેનેજ મુદ્દે પાલિકાને તાળાબંધીની ઉચ્ચારી ચીમકી
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2ની હુસેનીયા નગર 2માં ડ્રેનેજ લાઈનની કામગીરી ખોરંભે ચડતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે,જો ત્વરિત આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચ શહેરના વોર્ડ નંબર 2ના હુસેનીયા નગર-2 વિસ્તારમાં હજુ સુધી ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જે બાબતે સ્થાનિક રહીશો ખુબ જ ચિંતિત છે. જ્યારે આસપાસની અન્ય સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, ત્યારે હુસેનીયા નગર 2માં આ કામગીરી માટે પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી.સોસાયટીના રહીશોએ વારંવાર નગરપાલિકા સત્તાધીશોને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હોવા છતાં હાલ સુધી કોઈ પરિણામ જોવા મળ્યું નથી.
ચોમાસાની સીઝન નજીક હોવાથી રહીશોને ઘરમાં પાણી ઘૂસવાની તકલીફોનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે લોકોએ તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠાવી છે.આ મામલે સોસાયટીના આગેવાન મુન્ના શેખે જણાવ્યું હતું કે,અમે અગાઉ પણ વારંવાર પાલિકાને જાણ કરી છે, પણ હજુ સુધી કોઈ અસરકારક પગલું ભરવામાં આવ્યું નથી. જો આગામી દસ દિવસની અંદર ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ નહીં થાય તો, અમે તાળાબંધી અને ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશું.
રહીશોની માંગ છે કે નગરપાલિકા આ મુદ્દાને ગંભીરતાથી લે અને હુસેનિયા નગર 2માં તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરે જેથી ચોમાસાના આગમન પૂર્વે મુશ્કેલીઓથી બચી શકાય.