રાજપારડી-નેત્રંગને જોડતો માર્ગ બન્યો અત્યંત બિસ્માર
માર્ગ બિસ્માર બન્યો હોવાથી અનેક વાહનચાલકોને હાલાકી
નવા માલજીપુરા પાસે ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી આવ્યા
રસ્તા રોકો આંદોલન સાથે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો
વહેલીતકે બિસ્માર માર્ગનું સમારકામ કરવા ગ્રામજનોની માંગ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હોવાથી નવા માલજીપુરા પાસે સ્થાનિક ગ્રામજનો દ્વારા રસ્તા ઉપર ઉતરી આવી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર બન્યો છે. જેના કારણે અહીથી પસાર થતાં વાહનચાલકો સહિત રાહદારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. તો બીજી તરફ, બિસ્માર માર્ગ મુદ્દે નવા માલજીપુરા પાસે ગ્રામજનોએ રસ્તા ઉપર ઉતરી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ગ્રામજનોએ જણાવ્યુ હતું કે, આ રસ્તો એટલો બિસ્માર બન્યો છે કે, માર્ગ પરથી ભારે વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડમરીઓ ઉડવાથી અન્ય વાહનચાલકો તેમજ ગ્રામજનોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવે છે. રોડ નજીક રહેતા લોકોના મકાનોમાં ધૂળના થર જામ્યા છે. ધૂળ ઉડવાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડતાં શ્વાસોશ્વાસની બીમારીઓ થવાની પણ દહેસત વર્તાઈ રહી છે. જેથી ગ્રામજનોએ બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
આ તરફ, વિરોધ કરવા રસ્તા પર બેઠેલ ગ્રામજનોને રાજપારડી પોલીસ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યાં અધિકારીઓએ બિસ્માર માર્ગ પર પાણીના છંટકાવની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ રસ્તો પુનઃ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો હતો.