રાજ્યની શાળાઓના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો સમાવેશ કરાતા કેટલીક સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે
ત્યારે ભરૂચ સામાજિક સમરસતા મંચ દ્વારા ભગવદ ગીતાના સમર્થનમાં તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવાયું છે કે, અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે.
તેને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ. ભગવદ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઇ પણ ધર્મ-જાતિ-પંથ કે, મત-સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી. ભગવદ ગીતામાં જ્ઞાન-ભક્તિ અને કર્મયોગના નિતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે. જે શાંતી-સલામતિ અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતિત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાનરૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે. ભગવદ ગીતામાં દર્શાવેલ સદગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ ગીતાના જીવનમૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે. તેને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ તેવો અનુરોધ પણ કરાયો છે.