પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે લોકો ભક્તિભાવમાં તણાયા
જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીનો અનોખો સંકલ્પ
શ્રાવણ માસ નિમિત્તે દરરોજ સુંદરકાંડ પાઠ કરવામાં આવશે
સુંદરકાંડ પાઠ દ્વારા ભક્તજનોને ધાર્મિક ઉર્જાનો અનુભવ થશે
દરરોજ સુંદરકાંડ પાઠની પહેલ લોકો માટે પ્રેરણારૂપ બની
ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનો અનોખો સંકલ્પ કર્યો છે, ત્યારે તેઓની આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે.
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સમગ્ર દેશ ભક્તિભાવમાં તણાયો છે, ત્યારે ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ એક અનોખો સંકલ્પ લીધો છે. તેમણે સુંદરકાંડ પ્રચારક મંડળના માધ્યમથી શ્રાવણ માસ દરમિયાન દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનું નિશ્ચય કર્યું છે. આ દિવ્ય યાત્રાનો પ્રારંભ ઝાડેશ્વર સ્થિત મહામાંગલ્ય રેસિડન્સીથી હનુમાનજીના પૂજન અને અર્ચન સાથે કરવામાં આવ્યો હતો.
ભક્તિ અને રાષ્ટ્રીય ભાવના સાથે સંકળાયેલો આ પ્રયાસ માત્ર ધાર્મિક જ નહીં, પણ સામાજિક સદભાવના અને હિન્દુ રાષ્ટ્રના વિચારને પણ બળ આપનાર છે. સુંદરકાંડ પાઠ દ્વારા સમૃદ્ધ આ સંકલ્પથી ભક્તજનોને ધાર્મિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થઇ રહ્યો છે. સંદીપ પુરાણીનું માનવું છે કે, શ્રાવણ માસમાં હનુમાનજીના ચરિત્રના પઠનથી નેગેટિવ એનર્જી દૂર થાય છે, અને સમાજમાં સકારાત્મકતા ફેલાય છે. આ પહેલ અન્ય ઘરો, સંસ્થાઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.