સમાજની દીકરી સમાજમાં જ રહે તેવો ઉમદા ઉદ્દેશ
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ દ્વારા આયોજન
આત્મીય હોલમાં જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું
સંમેલનમાં 200થી વધુ દીકરા-દીકરીઓએ ભાગ લીધો
સન્માનીત ભૂદેવોના સન્માનનું પણ વિશેષ આયોજન
સમાજની દીકરી સમાજમાં જ રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે ભરૂચ શહેરના આત્મીય હોલ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સહિત ભૂદેવોના સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સહિત બ્રહ્મસમાજના સન્માનિત ભૂદેવોનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનના પ્રારંભે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મોતને ભેટેલા પર્યટકો તેમજ ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા ભારતના વીર સંપૂતોના સન્માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. પસંદગી સંમેલનમાં 200થી વધુ દીકરા-દીકરીઓએ ભાગ લીધો હતો.
આ સાથે જ સન્માનિત બ્રહ્મઆગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશી, મહિલા અગ્રણી ગુજરાતના પ્રજ્ઞા રાવલ, ભરૂચના બ્રહ્મ અગ્રણી અને જાણીતા કર્મકાંડી ગિરીશ શુક્લ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષ દવે, બ્રહ્મઅગ્રણી પ્રદીપ રાવલ, અનિલ પંડ્યા, વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી અજય વ્યાસ, ભરૂચ શહેર બ્રહ્મસમાજ પ્રમુખ હેમંત શુક્લ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી રાજુ ભટ્ટ તેમજ દિપ્તી ભટ્ટએ કર્યું હતું.