-
જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ
-
પ્રોજેક્ટ માટે યોજાઈ પર્યાવરણીય લોક સુનાવણી
-
જિલ્લા કલેકટર અને GPCBના અધિકારી રહ્યા ઉપસ્થિત
-
ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ
-
પ્રોજેક્ટ માટે જમીન આપવાનો સ્થાનિકોનો સ્પષ્ટ ઇન્કાર
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ડમલાઈ ખાતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જી.એમ.ડી.સી.ના લિગ્નાઇટ પ્રોજેકટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી.જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આગેવાનો અને સ્થાનિક લોકોએ આ પ્રોજેક્ટ માટે ભારે વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ડમલાઈ નજીક જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા અને જી.પી.સી.બીના પ્રાદેશિક અધિકારી વી.ડી.રાખોડીયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા જી.એમ.ડી.સી.ના લિગ્નાઇટ પ્રોજેકટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી.જેમાં ડમલાઈ, પડવાણીયા, મોરણ, શિયાલી, ભોજપુર, ખાટાઆમલા, વાસણા, બાડાબેડા, બોરજાઈ , ધારોલી, ભગતફળિયા,ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ લોક સુનાવણીમાં પડવાણીયા ગામના સરપંચ સીમા વસાવા, આગેવાન કનુ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા,પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા,દિલીપ વસાવા,અનિલ ભગત તેમજ શરલા વસાવા અને અસરગ્રસ્ત ગામોના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહીને વિરોધ નોંધાવ્યો હતો.લોક સુનાવણીમાં ઉપસ્થિત જન પ્રતિનિધિઓ અને સ્થાનિક અસરગ્રસ્ત આગેવાનોએ પોતાના વાંધાઓ રજૂ કરી લોક સુનાવણીમાં વિરોધ નોંધાવ્યો હતો.જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી.
ઝઘડિયા તાલુકાના વઢવાણિયા ગામના આગેવાન કનુ વસાવા તેમજ અન્ય આગેવાનો દ્વારા પોતાની એક ઇંચ પણ જમીન કોઈપણ કિંમતે નહીં આપીએ તેવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, અસરગ્રસ્ત ગામના સરપંચો તેમજ આગેવાનો દ્વારા જીએમડીસીના અધિકારીઓને વિવિધ મુદ્દાઓ પર સવાલો કરવામાં આવ્યા હતા.જેમાંથી કેટલાક સવાલોના જવાબ આપવામાં અસમત રહ્યા હતા, લોક સુનાવણીનો વિરોધ કરતા સ્થાનિક આગેવાનો જણાવ્યું હતું કે અમે આ જમીન પર વર્ષોથી વસ્યા છે અને અમે અહીંયાથી સ્થાનાંતર કરવાના નથી. જેથી આ એક ઇંચ પણ જમીન અને જીએમડીસીને આપવાના નથી તેમ કહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.