Connect Gujarat
ગુજરાત

ભાવનગર : દિહોરથી હરિદ્વાર જતાં યાત્રિકોની બસને રાજસ્થાન નજીક નડ્યો ભયંકર અકસ્માત, 12 લોકોના મોતની જિલ્લા કલેક્ટરે કરી પુષ્ટિ

ભાવનગરના દિહોરમાંથી હરિદ્વાર તરફ ઉપડેલી બસ હરિદ્વાર પહોંચે તે પહેલા રાજસ્થાનમાં અકસ્માતનો ભોગ બની છે.

X

તાજેતરમાં જ ભાવનગર જિલ્લામાંથી હરિદ્વાર યાત્રાએ ગયેલા આશરે 5 લોકોના મૃત્યુ થયા હત, ત્યારે આજે ફરી એક બીજી ઘટના હરિદ્વાર યાત્રાએ ગયેલા ભાવનગર જિલ્લાના રહેવાસીઓ સાથે બનવા પામી છે. ભાવનગરના દિહોરમાંથી હરિદ્વાર તરફ ઉપડેલી બસ હરિદ્વાર પહોંચે તે પહેલા રાજસ્થાનમાં અકસ્માતનો ભોગ બની છે. ભાવનગર કલેકટર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રાપ્ત વિગતો મુજબ તા. 13મી સપ્ટેમ્બરની વહેલી સવારે રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નદબઇ વિસ્તારમાં યાત્રિકોની બસમાં ખામી સર્જાતા રિપેરિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન જયપુર તરફથી આવી રહેલ ટ્રેલરે બસને પાછળથી ટક્કર મારતા બસ 30 મીટર દૂર સુધી ફંગોળાઈ હતી. બસ સાથે ટ્રક અથડાતાં બસની બહાર ઉભેલા અને અંદર બેસેલા 12 વ્યક્તિના મૃત્યુ થયા છે, અને 11 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. આ પ્રવાસીઓ કાર્તિક ટ્રાવેલ્સની બસ નં. GJ-04-V-7747માં પ્રવાસ કરી રહ્યા હતા. મૃતકો અને ઇજાગ્રસ્તોને ભરતપુરની આર.બી.એમ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતકો અને ઇજાગ્રસ્તો ભાવનગરના તળાજા તાલુકાના દિહોર ગામના રહેવાસી છે, અને તેઓ ભાવનગરથી મથુરા જઇ રહ્યા હતા, ત્યારે તેઓને આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.

Next Story