ગુજરાત રાજ્યમાં વરસાદે ધબધબાટી બોલાવવાની સાથે રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. મચ્છર અને માખીથી સહેલાઈથી ફેલાતા ચાંદીપુરા સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
હાલ વરસાદી મોસમની શરૂઆત થવાની સાથે જ વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો ધરાવતા દર્દીઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જોકે, તાજેતરમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના ઉપદ્રવથી આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. નિષ્ણાંતોના મતે આ વાયરસ માદા ફલેબોટોમાઇન ફલાય દ્વારા ફેલાય છે, અને તેઓ ચાંદીપુરાને RNA વાયરસ માને છે. જે મહત્તમ અસર 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે.
બાળકોને સખત તાવ આવવો, ઝાડા-ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ થવી, મગજનો તાવ કે, ખેંચ આવવી જેવા લક્ષણો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓમાં જોવા મળે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 8 જેટલા ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા પણ સંક્રમિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે દવાનો છંટકાવ સહિત વાયરસનો ફેલાવો અટકાવવા માટે જરૂરી પગલા ભરવામાં આવ્યા છે. તો બીજી તરફ, વાયરલ ઇન્ફેક્શન શરદી ખાંસી અને તાવના લક્ષણો ધરાવતા દર્દીઓથી પણ દવાખાના ઉભરાય રહ્યા હોવાનું સામે આવ્યું છે.