CM ભુપેન્દ્ર પટેલે પરિક્રમાનું કર્યું નિરીક્ષણ , માઁ નર્મદાની ચાલી રહી છે પંચકોશી પરિક્રમા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી હતી અને પંચકોશી પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓ સાથે સંવાદ પણ કર્યો હતો.
ચૈત્ર મહિનામાં માઁ નર્મદાની પંચકોશી પરિક્રમા ચાલી રહી છે, ત્યારે આ પાવન અવસર નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ મુલાકાતે આવ્યા હતા. અને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાત અને દેશના સૌ નાગરિકોની સુખ-શાંતિ અને સમૃદ્ધિ તથા વિશ્વ કલ્યાણ માટે માઁ રેવાને પ્રાર્થના કરી હતી. તેમણે અહીં નર્મદા મૈયાના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું હતું અને નર્મદા મૈયાના દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રીએ રામપુરા ઘાટ ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય વિભાગના રાહત કેમ્પ, સખી મંડળની બહેનોના સ્ટોલ, પરિક્રમા રૂટ પર મૂકવામાં આવેલા CCTV કન્ટ્રોલ રૂમ વગેરેનું નિરીક્ષણ કરીને તેમણે સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
માઁ નર્મદાના અવતરણ અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીતાના કારણે ગુજરાતના કચ્છ સુધી નર્મદાનું પાણી આજે પહોંચ્યું છે,અને નાગરિકોની તરસ છીપાવા સાથે પાણીની તંગી દૂર થઈ છે.તેમજ ગુજરાત હરિયાળું બન્યું હોવાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામપુરા ઘાટ ખાતે શ્રી રણછોડરાયજી મંદિરે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને મંદિર પરિસર ખાતે દેશભરમાંથી આવેલા વિવિધ પ્રાંતના પરિક્રમાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ પરિક્રમાર્થીઓ સાથે વાતચીતમાં જણાવ્યું કે, પવિત્ર માઁ નર્મદાની પંચકોશી પરિક્રમા છેલ્લા કેટલાય વર્ષોથી અનેક શ્રદ્ધાળુઓ પગપાળા કરે છે. પરિક્રમાર્થીઓ માટે રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓ અંગે મુખ્યમંત્રીએ પરિક્રમાર્થીઓને પૃચ્છા કરીને તેમના મંતવ્યો-સુચનો-પ્રતિભાવો મેળવ્યા હતા. પરિક્રમાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓ અંગે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “આપકી આસ્થા હમારી વ્યવસ્થા”ના મંત્ર સાથે રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે તેમ જણાવી પંચકોશી પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ માટેની સુવિધાને કાયમી ધોરણે પ્રસ્થાપિત કરવાની રાજ્ય સરકારની નેમ છે તેમ ઉમેર્યું હતું.
મહારાષ્ટ્રથી આવેલા પરિક્રમાર્થી ઋષિકેશ ઓઝા દ્વારા માઁ નર્મદાની પરિક્રમાનું મહત્વ દર્શાવતું હિન્દી પુસ્તક મુખ્યમંત્રીને અર્પણ કરીને પરિક્રમાર્થીઓ માટે ઊભી કરાયેલી સુવિધાની સરાહના કરી હતી.
રણછોડરાયજી મંદિર ખાતે સંવાદના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ શાલ અને માઁ નર્મદાની પ્રતિમા અર્પણ કર્યા હતા.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી રમેશ મેરજાએ મુખ્યમંત્રીને શ્રીફળ અને માતાજીની ચૂંદડી અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીની આ સમગ્ર મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ, જિલ્લાના અગ્રણી નિલકુમાર રાવ, મુખ્યમંત્રીના ઓએસડી અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિત જિલ્લા વહીવટી તંત્રના અમલીકરણ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ-પરિક્રમાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.