રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલી આગની દૂર્ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
મુખ્યમંત્રીએ ટ્વીટ કરી વધુમાં લખ્યું છે કે, રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.