ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. તારીખ 12 જૂન 2022ના રોજ ગીર સોમનાથના કોડીનારના આરોપી શામજી ભીખા સોલંકીએ 8 વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી,અને દુષ્કર્મ આચરીને બાળાની હત્યા કરીને લાશને તળાવમાં ફેંકી દીધી હતી.
આ ચકચારી ઘટનામાં રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી હતી,અને SIT દ્વારા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ લઈ તમામ સાંયોગિક પુરાવા એકઠા કરી ૨૫ દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસ કોડીનાર એડિશનલ સેશન્સ કોર્ટના જજ એસી.આઈ.ભોરાણીયાની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ કેતનસિંહ વાળાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આ કેસમાં નરાધમને ફાંસીની સજાની સાથે બાળકીના પરિવારને 17 લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો આરોપીને કોર્ટે હુકમ કર્યો હતો.