PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ આચરનાર રાજ્યની પાંચ હોસ્પિટલના ડોક્ટર સસ્પેન્ડ

તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે.જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ અને ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે.

New Update
PMJAY Yojana

પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઈપણ હોસ્પિટલ કે ડોક્ટરની કામગીરીને સાંખી નહી લેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે.જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ અને ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની SAFU સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી. જેના અંતર્ગત ગત અઠવાડિયામાં તારીખ 2 ડિસેમ્બર થી 8  ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 5 હોસ્પિટલ અને 2 ડોક્ટરની ગેરરીતિઓ સામે આવી છે.

પાટણની હિર હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન પ્રી-ઓથ દરમિયાન કુલ 91 જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિઓનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું માલુમ પડ્યું હતું. તેથી હિર હોસ્પિટલ અને તેમાં ફરજ બજાવતા ડો.હિરેન પટેલને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેલ્થ સ્પ્રિંગ 24 પેથોલોજી લેબોરેટરી પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે. વધુમાં હોસ્પિટલમાં રૂપિયા  50,27,700 ની રીકવરી અને પેનલ્ટી પણ કરાઇ છે.

પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર સેન્ટરમાં પ્રિ-ઓથ દરમિયાન કુલ 60 જેટલા રિપોર્ટમાં છેડછાડ અને હોસ્પિટલ દ્વારા જે લેબોરેટરીનું ટાઇઅપ કરેલ છે. તેમની પાસે દર્દીના લેબ રીપોર્ટ માંગવામાં આવતા રીપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાઇ આવ્યું હતું.

જેથી હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં શિવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીપાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઈ છે. હોસ્પિટલને કુલ રૂપિયા 15,16,350ની રીકવરી અને પેનલ્ટી પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત દાહોદની સોનલ હોસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં પણ ઉણપ હોવાનું જણાતા આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઈ છે.

અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ચોથા અને પાંચમાં માળનું બી.યુ. પરમિશન ન હોવાનુંમાર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડ્યુલર ઓટીનો અભાવ તેમજ કેટલીક એક્સપાયરી વાળી દવાનો જથ્થો જણાઈ આવતા હોસ્પિટલને બી.યુ. પરમીશન ન મળે તેમજ ઉક્ત ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાઈ છે.

અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એક્સપાયર્ડતેમજ એન.આઇ.સી.યુ.માં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા જણાઇ ન આવતા આ હોસ્પિટલને પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઇ આવેલ ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે.