સુરેન્દ્રનગર જિલ્લામાં વરસેલા સામાન્ય વરસાદ બાદ પણ ચોટીલા શહેરમાં વરસાદી પાણી ભરાય રહેતાં વહીવટી તંત્ર સામે ચોટીલાવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં સામાન્ય વરસાદ પડ્યા બાદ કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જતાં સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ચોટીલા શહેરમાં સુખનાથ મંદિર પાસે સામાન્ય વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે. પાંજરાપોળના ડેલામાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. તો કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓને તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ભાજપ શાસિત નગરપાલિકામાં આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો. શહેરના ખાંડી પ્લોટ વિસ્તારમાં ઘણા દિવસોથી પાણી ભરાઈ ગયું છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ ચોટીલાનું તંત્ર સરકારના સ્વચ્છતા અભિયાન પ્રત્યે કેટલું ગંભીર છે તે આ દ્રશ્યો પરથી સાબિત થાય છે. પાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ લોકોની સમસ્યા તરફ ધ્યાન આપવાના બદલે પૈસા ખાઈને બેસી રહેતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, સારો રોડ હોવા છતાં એ રોડ તોડીને ફરી નવો રોડ બનાવ્યા બાદ પાણી ભરાવાની સમસ્યા વધી ગઈ છે.