"આગાહી" : આગામી 2 દિવસ રાજ્યમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, દરિયો નહીં ખેડવા માછીમારોને સૂચન
ચોમાસાની સક્રિય સ્થિતિના કારણે દક્ષિણ ગુજરાતનો દરિયોકાંઠો તોફાની બને તેવી રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે
ચોમાસાની સક્રિય સ્થિતિના કારણે દક્ષિણ ગુજરાતનો દરિયોકાંઠો તોફાની બને તેવી રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે.
સમગ્ર ગુજરાતમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે, જ્યારે કેટલાક તાલુકાઓ વરસાદ વગર હજી કોરાધાકોર રહ્યા છે. જોકે, હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનિ આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. ભાવનગર, અલંગ, દ્વારકા, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવ અને ભરૂચના દહેજ સહિત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર દક્ષિણ-પશ્ચિમ દિશાથી પશ્ચિમ દિશામાં 40થી 50 કિ.મી.ની ઝડપે ઝાપટાંવાળું હવામાન તેમજ દરિયામાં તોફાની મોજા ઉછળી શકે છે. જેથી પવનની ઝડપ વધીને 60 કિ.મી. સુધી પણ પહોંચ તેમ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ચેતવણી જારી કરવામાં આવી છે.