/connect-gujarat/media/post_banners/21487f1da07f38c6900f8e4828ffc50eab31e8837cd2f0de3f538a686efe83db.jpg)
ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતાં હાઇવે રોડ પર કેશવ ગૌશાળા નજીક ગત મોડીરાતે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 પિતરાઈ ભાઈના કરુણ મોત નીપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતા હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની નીચે ઊતરી ગઈ હતી. જે બાદ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 5 પિતરાઈ ભાઈના કમકમાટીભર્યાં મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ પિતરાઈ ભાઈઓ ફિલ્મ જોવા ગયા હતા. જે બાદ પરત ફરતી વેળા તેમને અકસ્માત નડ્યો હતો. બનાવની જાણ થતાં જ પેથાપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, ત્યારે હાલ તો પેથાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.