ગીર સોમનાથ : રૂ. 21માં કરેલી બિલ્વ પૂજા બાદ ભક્તોને પોસ્ટ મારફતે મળશે મહાદેવનો કૃપા પ્રસાદ...
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વ પર માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્તો માટે "બિલ્વપુજા સેવા" લોન્ચ કરવામાં આવી હતી.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વ પર માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્તો માટે "બિલ્વપુજા સેવા" લોન્ચ કરવામાં આવી હતી. આ પૂજામાં સહભાગી થનાર ભક્તોને સોમનાથ મહાદેવના કૃપાપ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફતે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે દેશભરમાં 1.55 લાખ પોસ્ટ ઓફિસ સાથે વિશ્વનું સૌથી ધનિષ્ઠ એવું ભારતીય પોસ્ટ વિભાગ સોમનાથ ટ્રસ્ટના આ ભગીરથ પ્રસાદ વિતરણમાં જોડાયું છે.
દેશના તમામ રાજ્યોમાં સોમનાથ મહાદેવની 21 રૂપિયામાં વિશેષ બિલ્વ પૂજાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. 1.40 લાખથી વધુ ભક્તોએ એક જ સમય માટે એક પૂજા નોંધાવી હોય એ કદાચિત વિક્રમજનક ઘટના છે. જોકે, હવે દેશભરમાં વસતા દરેક ભક્તને સોમનાથ મહાદેવનો કૃપા પ્રસાદ અચૂક મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટે અનેકવિધ તૈયારીઓ કરી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂજા બુક કરનાર ભકતોએ આપેલા સરનામાં પર એક એન્વેલપ મોકલવામાં આવશે, જેમાં પૂજા માટે નામ નોંધવવા બદલ સન્માન પત્ર, રુદ્રાક્ષ, ભસ્મ પ્રસાદ, અને બિલ્વપત્રનો નમન સ્વરૂપે સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારની લાખો પ્રસાદ કીટ સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને સ્વયંસેવકો દ્વારા સતત તૈયાર કરવામાં આવી છે. જેથી ભક્તોને વહેલામાં વહેલી તકે મહાદેવનો કૃપા પ્રસાદ પહોંચી શકે. આ પ્રસાદ પહોંચાડવા ટ્રસ્ટ દ્વારા વિશ્વના સૌથી મોટા પોસ્ટલ નેટવર્ક ભારતીય પોસ્ટને માધ્યમ તરીકે પસંદ કરવામાં આવી છે. ભારતીય પોસ્ટ વિભાગ 150થી વધુ વર્ષોથી દેશના સંદેશા વ્યવહારની કરોડરજ્જુ છે, અને ભારતીય પોસ્ટ દેશના સામાજિક આર્થિક વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. રાજ્યના પોસ્ટ માસ્ટર જનરલ નીરજકુમારને નારણપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા દેશભરમાં પૂજા બુક કરનાર શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરેલ પ્રસાદના એન્વેલપના બોક્સ સોંપવામાં આવ્યા હતા. પોસ્ટ વિભાગ દ્વારા પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ ભગીરથ કાર્યમાં પોસ્ટને જોડવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પોસ્ટ ઓફિસને વિશેષરૂપે શણગારવામાં આવી હતી. ઢોલ શરણાઈના નાદ સાથે આ પ્રસાદનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું.