ગીર સોમનાથ : નિવૃત્ત વન કર્મચારીએ છાતીમાં ગોળી મારી કરી આત્મહત્યા, જુઓ સ્યુસાઇડ નોટમાં કોના નામ ખુલ્યા..!
મૃતક વનકર્મીએ 2 વ્યાજખોરો તથા વેવાઈ પક્ષના 4 શખ્સોના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ જોવા મળ્યો
નિવૃત્ત વન કર્મચારીએ પોતાને ગોળી મારી કર્યો આપઘાત
પોલીસ તપાસમાં મૃતક પાસેથી મળી આવી સ્યુસાઇડ નોટ
વ્યાજખોરો અને વેવાઈ પક્ષના ત્રાસથી આપઘાતનો ઘટસ્ફોટ
વ્યાજખોરો-વેવાઈ પક્ષને ઝડપી લેવા પોલીસની કાર્યવાહી
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં નિવૃત્ત વન કર્મચારીએ પોતાને ગોળી મારી આપઘાત કરી લીધાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ, સ્યુસાઇડ નોટ મળી આવતા વ્યાજના વિષચક્ર અને વેવાઈ પક્ષના ત્રાસથી નિવૃત્ત વન કર્મચારીએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ થયો છે.
મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામના વતની અને હાલ તાલાલા ગીર રહેતા નિવૃત્ત ફોરેસ્ટર 68 વર્ષીય અબ્દુલહમીદ ઉમરભાઈ બ્લોચએ અગમ્ય કારણોસર આંબળાશ ગીર ગામે જઈ તેમના જુના મકાનમાં પોતાની લાઈસન્સવાળી બંદૂકથી ગળાના નીચેના ભાગે છાતીમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક અબ્દુલહમીદએ લખેલી એક સુસાઈડ નોટ અને હિસાબની ચિઠ્ઠી મળી આવી હતી.
જેમાં મૃતક વનકર્મીએ 2 વ્યાજખોરો તથા વેવાઈ પક્ષના 4 શખ્સોના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. જેના આધારે મૃતકની પત્નીએ વ્યાજખોરો અને વેવાઈ પક્ષના 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક અબ્દુલ બ્લોચએ માલજીંજવા ગામના નારણ સોલંકી તથા રમેશ સોલંકી પાસેથી રૂ. 4 લાખ વ્યાજે લીધા હતા.
જેની સામે વ્યાજ સહીત રૂ. 13 લાખની રકમ ચૂકવી હોવા છતાં મૃતકનું મકાન નારણ સોલંકીએ બળજબરીથી તેના દિકરા ગોપાલના નામે કરાવી લીધું હતું. તેમજ મૃતકના પુત્ર અફજલની 2 બુલેટ મોટર સાયકલ પણ તેઓએ રાખી લીધી છે. આટલું લઈ લીધા પછી પણ બંન્ને વ્યાજખોરો રૂબરૂ તથા ફોન પર અવારનવાર વધુ રકમની ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.