ગીર સોમનાથ જીલ્લામાં સંભવત પૂરની પરિસ્થિતીને પહોચી વળવા માટે વેરાવળના સમુદ્ર કાંઠા પંથકમાં વહીવટી તંત્ર દ્વારા NDRF અને SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં NDRF અને SDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. સંભવત પૂરના પાણીના ભયજનક નીચાણવાળા વિસ્તારો અને તેનાથી પ્રભાવિત વિસ્તારની ભૌગોલિક સ્થિતિ જાણવા ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશીએ NDRFની ટીમને સાથે રાખી વિવિધ સ્થળે મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પાલિકા ચીફ ઓફિસર, પોલીસ સહિત ફાયર વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. આ સાથે જ લોકોને કુદરતી આફતો સામે કેમ રક્ષણ મેળવવું તેની જાગૃતિ માટે સંપર્ક મુલાકાત અને ડેમોસ્ટ્રેશન કરી લોકો પોતાનો બચાવ પોતાની મેળે કરી શકે તે અંગે માર્ગદર્શન અપાવામાં આવ્યું હતું.