જીલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદ પાછો ખેંચાયો
વરસાદા પાછો ખેંચાતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા
મેઘરાજા મહેરબાન ન થાય તો પિયત માટે હાલાકી
ગીર પંથકમાં જગતનો તાત હવે ભગવાન ભરોસે બેઠો
જિલ્લામાં સારો વરસાદ વરસે તેવી ખેડૂતની પ્રાર્થનાગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 15 દિવસ વરસાદ પાછો ખેંચતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. જો મેઘરાજા મહેરબાન ન થાય તો પિયત માટે હાલાકી પડી શકે છે, ત્યારે જગતનો તાત હવે ભગવાન ભરોસે બેઠો છે.
મેઘરાજાએ ગુજરાત સૌરાષ્ટ્રમાં તો ભારે હેત વરસાવ્યું છે. પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને સમુદ્ર કાંઠા વિસ્તારમાં આ વર્ષે વરસાદમાં ખૂબ જ વિલંબ થયો છે. તો બીજી તરફ, વાવણી બાદ થોડો વરસાદ થયો હતો. ખેડૂતોએ પાકના પોષણ માટે હાલ ડ્રિપ દ્વારા ફુવારા પદ્ધતિથી પાણી છાંટી પાકને બચાવવા પ્રયત્નો શરૂ કરી દીધા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા 15 વીસ દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો નથી.
જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન જ્યાં પણ વરસાદ વરસ્યો, ત્યાં માત્ર હળવા ઝાપટા વરસ્યા હતા. પરંતુ જમીનમાં ભેજ થાય અને ખેતીમાં લાંબા ગાળાનો ફાયદો કરે એવો વરસાદ વરસ્યો નથી. જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. ખંઢેરી ગામના ખેડૂત કરસન બારડે જણાવ્યુ હતું કે, કુવામાં પાણી છે. પરંતુ એ સીમિત માત્રામાં છે. જો વરસાદ વધુ ખેંચાય તો આવનાર સમયમાં પાકને બચાવી શકાય નહીં. ચોમાસાની શરૂઆતમાં થોડો વરસાદ વરસતા ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો હવે ભગવાન ભરોસે બેઠા છે. અને પ્રાર્થના કરી રહ્યા છે કે, સમગ્ર જિલ્લામાં સારો વરસાદ થાય.