રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય
પાક નુકસાની માટે સહાયમાં કરાયો વધારો
ઓગસ્ટ-સપ્ટેમ્બર-2025ના કૃષિ રાહત પેકેજમાં વધારો
બિનપિયત પાકની પ્રતિ હેકટરની સહાયમાં વધારો
પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન સહાય ચૂકવાશે
અરજી કરવા આજથી 15 દિવસ માટે પોર્ટલ ખુલ્લું મુકાયું
ગુજરાત રાજ્ય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.જેમાં સરકાર દ્વારા પાક નુકસાની માટે ખેડૂતોને આપવામાં આવનાર સહાયમાં વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. આ નુકસાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા રૂપિયા 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.
આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના ધારાધોરણો મુજબ 33 ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં બિનપિયત પાક માટે રૂપિયા 12 હજાર પ્રતિ હેક્ટર, પિયત પાક માટે રૂપિયા 22 હજાર પ્રતિ હેક્ટર તેમજ બહુવર્ષાયુ પાકો માટે રૂપિયા 27 હજાર 500 પ્રતિ હેક્ટર સહાય જાહેર કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બિનપિયત અને પિયત પાક બંનેને એક સમાન રૂપિયા 22 હજાર પ્રતિ હેક્ટર સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવાનો રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદમાં પાણી ભરાયેલા હોય તેમજ રવિ ઋતુમાં વાવેતર થઈ શકે તેમ ન હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં રૂપિયા 20 હજાર પ્રતિ હેક્ટર લેખે 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અરજી કરી શકે તે માટે તારીખ 11 નવેમ્બરથી આગામી 15 દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ગામના VCE/VLEના માધ્યમથી સમયમર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.