/connect-gujarat/media/post_banners/bf21a6e838bd31c1f8eb12f97fa850e67b2febd87d2f8c2be253a258ba7fab07.webp)
મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના સમગ્ર ગુજરાત ને હચમચાવી દીધું હતું. ઝૂલતો પુલ તૂટી જવાને કારણે નદીમાં ડૂબી જવાથી 135 લોકોના મોત થયા હતા. જ્યારે આ ઉપરાંત અનેક લોકોને ઈજા પહોંચી હતી. પુલનું મેઈનટેનન્સ કરતી કંપની સામે બેદરકારીનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.અરજદારે પોતાની અરજીમાં રજૂઆત કરી છે કે, મોરબી પુલ હોનારતમાં યોગ્ય તપાસ નથી થઈ રહી. પોલીસ દ્વારા તપાસ માં ઢીલાશ રાખવામાં આવી રહી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. કેસની તપાસમાં ઢીલાશ હોવાથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજદારે આ કેસની તટસ્થ તપાસ માટે સીબીઆઈ તપાસની માંગ કરી છે.
આજે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં આજે અરજદાર અને સરકાર પોતાનો મત કોર્ટમાં રજૂ કરી શકે છે.30 ઓક્ટોબરના દિવસે સાંજે 6:30 કલાકે મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટના બાદ તંત્ર એ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. પાંચ દિવસ બાદ સર્ચ ઓપરેશન સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે