જુનાગઢ જિલ્લામાં જંગલ સહિત ગિરનાર વિસ્તારમાં મેહુલિયો મન મુકીને વરસી રહ્યો છે, ત્યારે જંગલોમાં ખળખળ કરતા ઝરણાઓ અને દામોદર કુંડમાં છલકતા પાણીથી જુનાગઢનું દ્રશ્ય રમણીય બન્યું છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ધાર્યા કરતાં થોડું મોડું આવ્યું છે. સામાન્ય ઝાપટાં વરસ્યા બાદ ગત રવિવારે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ બંધાયું હતું, ત્યારે જુનાગઢના જંગલ અને ગિરનાર વિસ્તારમાં મેહુલિયો મન મુકીને વરસ્યો હતો. જંગલોમાં ખળખળ કરતા ઝરણાઓ અને દામોદર કુંડમાં છલકતા પાણીથી જુનાગઢનું દ્રશ્ય રમણીય બન્યું છે.
તો બીજી તરફ, શહેરના નરસિંહ તળાવ પણ પાણીથી છલકાયું છે. જુનાગઢમાં મેઘો મહેરબાન થતા હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા છે. ગીર ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતાં મેઘલ નદીમાં પુર આવ્યું છે. મેઘલ નદીમાં સિદ્ધેશ્વર મહાદેવના શિવલિંગ પર મેઘરાજાએ જળાભીષેક કર્યો હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. આ તરફ, જુનાગઢના ભવનાથ તળેટીમાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે.
ગિરનાર પર્વત વાદળોથી વાતો કરતો હોય તેમ લાગી રહ્યું છે. જોકે, જુનાગઢમાં કેટલાક વિસ્તારોમાં વરસાદે તારાજી પણ સર્જી છે. માર્કેટિંગ યાર્ડના જૂના પ્રવેશ દ્વાર પાસે પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકો અને લારી ધારકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જુનાગઢ જિલ્લાના કેશોદ, માણિયાહાટીના, વંથલી સહિતના પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદના પગલે સોરઠ પંથકની જીવાદોરી સમાન ઓઝત વિયર ડેમ સહિત બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થયો છે. જેથી આસપાસના નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ ડેમ પાણીથી છલોછલ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જુનાગઢમાં ભારે વરસાદના પગલે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યુ હતું કે, જિલ્લાના વંથલી ઓઝત વિયર, આણંદપુર ઓઝત વિયર, બાંટવા-ખારો અને કેરાળા-ઉબેણ વિયર એમ 4 જળાશયો ઓવરફ્લો થયા છે. સાથે જ ગિરનાર પર્વત પર સૌપ્રથમવાર વરસાદ માપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કાળવા વોકળાને પણ ઉંડો અને પહોળો કરવામાં આવ્યો હોવાથી પાણીની ક્ષમતા વધી હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.