ઉનાળાના પ્રારંભે જ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણી માટે વલખાં, જુઓ ગ્રામજનો કેવો કરે છે સંઘર્ષ..!
બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળો શરૂ થતાની સાથે જ પીવાના પાણી અને ખેતી માટે સમસ્યા સર્જાય છે.
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળો શરૂ થતાની સાથે જ પીવાના પાણીની અછત સર્જાય છે. સરહદી વિસ્તારના વાવ તાલુકાના છટુનેસડા અને છત્રપુરા ગામના લોકો છેલ્લા 5 દિવસથી પાણી માટે વલખાં મારી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળો શરૂ થતાની સાથે જ પીવાના પાણી અને ખેતી માટે સમસ્યા સર્જાય છે. દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સરહદી વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ થતાં લોકોને પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. ઉનાળામાં કેનાલોમાં પાણીની અછત સર્જાય છે, અને અનેક ગામડાઓમાં પીવા અને ખેતી માટે પાણીની અછત રહે છે, ત્યારે આ વર્ષે પણ એક તરફ ગરમી આગના ગોળા જેવી છે. તો બીજી તરફ, લોકો પાણી વિના પરેશાન થઈ રહ્યા છે.
જોકે, સરહદી વિસ્તારના વાવ તાલુકાના છટુનેસડા અને છત્રપુરા ગામના લોકો છેલ્લા 5 દિવસથી પીવાના પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ બન્ને ગામોમાં પાણી ન આવતા આ ગામના લોકોને બહારથી પાણી લાવવાની ફરજ પડી રહી છે. બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે. અહી સરહદ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે, પશુપાલન પણ મુશ્કેલ બન્યું છે. એક તરફ રાજ્ય સરકાર ગુજરાતના છેવાડાના લોકોને પાણી આપવાની વાતો કરી રહી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં લોકો પીવાના પાણીની વ્યવસ્થા માટે રોજેરોજ આજીજી કરતા જોવા મળે છે.