જુનાગઢમાં ભાજપના સાશનમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં સરકારી નાણાંનો ક્યાં અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, તે અંગે કોંગ્રેસ દ્વારા “હિસાબ દો, જવાબ દો”ના કાર્યક્રમ હેઠળ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
જુનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરા જોટવાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા મનપા કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. હીરા જોટવાએ જણાવ્યુ હતું કે, મનપાની ચૂંટણી ભાજપ દ્વારા જાણી જોઈને પાછી ઠેલવાઈ છે. ભાજપના સાશનમાં થયેલ ગેરરીતિ લોકો ભૂલી જાય તે માટે જાણી જોઈને ચૂંટણી પાછી ઠેલવવામાં આવી રહી છે. આવેદન પત્ર આપ્યા અગાઉ કોંગ્રેસ દ્વારા મનપાના પટાંગણમાં ભાજપ વિરુદ્ધ સુત્રોચાર પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત મનપા કમિશ્નર દ્વારા હજુ સુધી સરકારમાંથી વહીવટદારના નામની જાહેરાત ન કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું.
તો બીજી તરફ, જુનાગઢમાં ભાજપના સાશનમાં મનપા દ્વારા છેલ્લા 5 વર્ષમાં સરકારી નાણાંનો ક્યાં અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, તે અંગે કોંગ્રેસ દ્વારા “હિસાબ દો, જવાબ દો” કાર્યક્રમ હેઠળ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, ત્યારે આ મામલે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યુ હતું કે, અમે પ્રજાના અનેક કામ પાછલા 5 વર્ષમાં કર્યા છે. નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે. ભૂગર્ભ ગટરનું ફેસ-2 અંતર્ગત કામ ચાલી રહ્યું છે. ઉપરકોટનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે. જો, પ્રજા અમારી પાસે કામનો હિસાબ માંગશે તો આપી દઇશું, પણ કોંગ્રેસને હિસાબ માંગવાનો કોઈ અધિકાર નથી.