સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રીજનું કરાયું નિર્માણ
રૂ. 226 કરોડના ખર્ચે નિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું
ફ્લાયઓવરના નિર્માણથી વાહનવ્યવહારની સુવિધામાં વધારો
પ્રભારી મંત્રી, રાજ્યમંત્રી, સાંસદ સહિતના મહાનુભાવોની હાજરી
જામનગર શહેરના સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેઇન માર્કેટ, બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થવા જઈ રહ્યું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 226 કરોડના ખર્ચે નિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગર ખાતે રૂ. 226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીના આ ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ 4 એપ્રોચ સહિત 3,750 મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન 16.50 મીટરનો છે, જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન 8.40 મીટરના છે. આ ફ્લાયઓવરનું નિર્માણ થવાથી જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, GSFC તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે.
મુખ્યમંત્રી દ્વારા લોકાર્પિત કરાયેલ આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ, મેયર વિનોદ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, મહાનગરપાલિકાના પ્રભારી મંત્રી પલ્લવી ઠક્કર, ધારાસભ્ય સર્વ મેઘજી ચાવડા, દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્ના સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.