Connect Gujarat
ગુજરાત

જામનગર : ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી, વિવિધ પ્રકલ્પોની શહેરીજનોને સરકારે ભેટ ધરી...

'ગુજરાત ગૌરવ દિવસ' તરીકે રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે રૂ. 352 કરોડના 553 વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત અને ઇ-ભૂમિપૂજન કર્યું

X

જામનગરમાં ગુજરાતના ૬૩મા સ્થાપના દિવસ 'ગુજરાત ગૌરવ દિવસ' તરીકે રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે રૂ. 352 કરોડના 553 વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત અને ઇ-ભૂમિપૂજન કર્યું હતું. તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને દિશાદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે.

જામનગરને વિકાસ કાર્યોની ભેટ મળી તેમાં મહત્વના વિકાસ પ્રકલ્પો જોઈએ તો, જામનગર જિલ્લામાં રૂ. 98 કરોડના ખર્ચે 422 કામોનું ઇ-લોકાર્પણ, રૂ. 162 કરોડથી વધુના ખર્ચે 123 કામોનું ઇ-ખાતમુહૂર્ત, રૂ. 92 કરોડથી વધુના ખર્ચે 8 કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્મિત રૂ. 5 કરોડ 38 લાખના ખર્ચે વીવીઆઈપી એનેક્ષી બિલ્ડિંગને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેડી રેલવે સ્ટેશન પાસે 272 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની નવી ગોકુલનગર સબ ડિવિઝનલ ઓફિસનું રૂ. 4 કરોડથી વધુ રકમના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના મહાનુભાવોએ જામનગરની શ્રી સત્યસાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં જિલ્લા પોલિસ તંત્ર દ્વારા આયોજિત અદ્યતન અને પુરાતન શસ્ત્રનું પ્રદર્શન ખુલ્લુ મુક્યું હતું. મહાનુભાવોએ પ્રદર્શનમાં 34 સ્ટોલની મુલાકાત લઈ વિવિધ શસ્ત્રો વિષે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત જામનગરમાં જાજરમાન ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના શુભ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અનાવરણ પહેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ તલવાર તેમજ સાફો અર્પણ કરી મંત્રીનું સ્વાગત કર્યું હતું. રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હેલિકોપ્ટરમાંથી પ્રતિમા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.

Next Story