ઐતિહાસિક અને પ્રવાસન નગરી ખાડાનગરી બની
શાસકપક્ષના નેતાઓના વિસ્તારમાં જ ખાડાઓનું સામ્રાજ્ય
ખાડા અને અધૂરી કામગીરીથી સામાન્ય જનતા ત્રાહિમામ
વિરોધપક્ષના નેતાએ કર્યો સત્તાપક્ષ સામે ગંભીર આક્ષેપ
શાસકપક્ષના નેતાએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા
જૂનાગઢમાં રસ્તાના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતાના વિસ્તારમાં જ રસ્તાની હાલત દયનિય બનતા વિરોધપક્ષ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.
જૂનાગઢ, જેની ઓળખ ઐતિહાસિક અને પ્રવાસન નગરી તરીકે છે, તે આજે ખાડાઓના નગર તરીકે ઓળખાવા લાગ્યું છે. નવાઈની વાત તો એ છે કે, જે નેતાઓના હાથમાં શહેરના રસ્તા બનાવવાની સત્તા છે, તેમના જ પોતાના વિસ્તારમાં રસ્તાઓનો દુકાળ છે.
જૂનાગઢમાં રસ્તાઓની હાલત એવી છે કે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ઠેર-ઠેર પડેલા ખાડા અને અધૂરી કામગીરીને કારણે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના મુખ્ય માર્ગો હોય કે સોસાયટીના અંદરના રસ્તા, ક્યાંય સડક જેવું નામ જોવા મળતું નથી.
સૌથી વધુ આશ્ચર્ય ત્યારે થાય છે જ્યારે આ સમસ્યા શાસક પક્ષના દિગ્ગજ નેતાઓના જ વિસ્તારમાં જોવા મળે છે. મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતાના પોતાના મતવિસ્તારમાં જ રસ્તાઓની હાલત દયનીય છે.આ સમસ્યા સામે વિરોધપક્ષના નેતા લલિત પરસાણા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ શાસકપક્ષના નેતા મનન અભાણીએ વિરોધપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા,અને શહેરમાં ભુગર્ભ ગટર અને પીવાના પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જે પૂર્ણ થશે એટલે રોડ બનાવવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.