-
શીતલનગર વિસ્તારના સ્થાનિકોને વિવિધ સમસ્યાઓથી હાલાકી
-
મનપા દ્વારા નરસિંહ મહેતા સરોવર પાસે ફિલ્ટર પ્લાન્ટનું નિર્માણ
-
મેયર સહિતના અન્ય પદાધિકારીએ કર્યું પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ
-
સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ પદાધિકારીઓનો ઘેરાવો-ઉધડો લીધો
-
ગટરનું પાણી બોરમાં ભળી જતું હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ
જુનાગઢ શહેરના શીતલનગર વિસ્તારના સ્થાનિકોએ વિવિધ સમસ્યાઓને લઈને મેયર સહિતના પદાધિકારીઓનો ઘેરાવો કરી ઉધડો લીધો હતો. જેમાં પીવાના પાણીની લાઈન આપી ન હોવાનો તેમજ ગટરનું પાણી બોરમાં ભળી ગયા હોવાના આક્ષેપો કર્યા હતા.
જુનાગઢ શહેરના શીતલનગર વિસ્તારમાં નરસિંહ મહેતા સરોવર પાસે બનાવવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટની મુલાકાતે જુનાગઢના મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. હાલ ચોમાસાની ઋતુ નજીક છે, ત્યારે નરસિંહ મહેતા સરોવર આજુબાજુના વિસ્તારમાં ગત વર્ષ જેવી સ્થિતિનું નિર્માણ ન થાય જેને લઇને નિરીક્ષણની કામગીરી કરવામાં આવી હતી. આ દરમ્યાન સ્થાનિકોએ વિવિધ સમસ્યાઓને લઈને મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓનો ઘેરાવો કરી ઉધડો લીધો હતો. લોકોની રજૂઆત હતી કે, તેમના વિસ્તાર શીતલ નગરમાં પીવાના પાણીની લાઈન હજુ સુધી આપવામાં આવી નથી.
જોકે, જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. પરંતુ તે ઘણા સમયથી બંધ હાલતમાં છે. જેના કારણે ગટરનું પાણી સ્થાનિકોના બોરમાં ભળી ગયું છે. જેથી લોકો તે પાણીનો ઉપયોગ કરી શકતા નથી, અને ચોમાસા દરમિયાન શીતલ નગરનો વિસ્તાર નીચાણવાળો હોવાથી ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ થતી હોય છે. આ તમામ સમસ્યાઓને લઈને મેયર તેમજ અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. આ સાથે જ વહેલી તકે સમસ્યાનો નિકાલ કરવાની માંગ કરી છે. આ મામલે અધિકારી દ્વારા લોકોને ખાતરી આપવામાં આવી છે કે, તમામ પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે.