જુનાગઢ શહેરના વોર્ડ નં. 8માં આવેલ બુકર ફળિયા વિસ્તારમાં જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં કાટમાળ નીચે દબાતા 3 જેટલા વાહનોમાં નુકશાન થયું હતું.
હાલ વરસાદની સિઝનમાં એક પછી એક જર્જરીત મકાનો ધરાશાયી થઇ રહ્યા છે, ત્યારે તંત્ર જાણે માથે હાથ મૂકી તમાશો જોઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. મહત્વની વાત એ પણ છે કે, મોટાભાગના જર્જરિત મકાન ધારકોને પાલિકા નોટિસ તો આપે છે. પરંતુ કેટલીક આકરી શરતો મકાન ધારકોના ગળે ન ઉતરતી હોવાથી જર્જરિત મકાન ઉતારવામાં આવતા નથી. તેવામાં આવી જ એક ઘટના જુનાગઢ શહેરના વોર્ડ નં. 8માંથી સામે આવી છે.
વોર્ડ નં. 8માં આવેલ અજંતા ટોકીઝ નજીક બુકર ફળિયા વિસ્તારમાં જર્જરિત ઇમારતનો ભાગ અચાનક ધરાશાયી થઈ તૂટી પડ્યો હતો, ત્યારે જર્જરિત ઇમારતના કાટમાળ નીચે દબાય જતાં ઇકો કાર, છકડો રિક્ષા સહિત ટેમ્પોમાં મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.