લીલી પરિક્રમા માટે તંત્રની તૈયારી
2થી 5 નવેમ્બર સુધી યોજાશે પરિક્રમા
મોટી સંખ્યામાં ઉમટી પડશે પરિક્રમાર્થીઓ
જિલ્લા કલેકટર કચેરીમાં મળી બેઠક
વિવિધ કામગીરી અંગે સમીક્ષા કરાઈ
જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા 2 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન યોજાશે,જે અંગેની તૈયારી જિલ્લા કલેકટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.જેમાં વહીવટી તંત્ર દ્વારા માર્ગનું સમારકામ, આરોગ્ય અને સુરક્ષા માટેની વ્યવસ્થા અંગે સૂચના આપવામાં આવી હતી.
ગિરનારના જંગલમાં યોજાતી પવિત્ર લીલી પરિક્રમાના આયોજનને લઈને આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્રના તમામ વિભાગો, ભવનાથ ક્ષેત્રના સાધુ-સંતો અને રાજકીય તેમજ સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ચાર દિવસીય પરિક્રમામાં શ્રદ્ધાળુઓને પૂરતી સુખ-સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
આ બેઠકમાં પરિક્રમાના આયોજન અંગે જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા તમામ ઉપસ્થિતો પાસેથી વિવિધ સૂચનો લેવામાં આવ્યા હતા.અને વહીવટી તંત્ર દ્વારા દરેક વિભાગને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. વન વિભાગને તાત્કાલિક અસરથી ગીરનાર રૂટ પરના રસ્તાઓનું સમારકામ કરવા જણાવવામાં આવ્યું હતું, જ્યારે જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા પરિક્રમાર્થીઓની સુરક્ષા માટે યોગ્ય બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવા ચર્ચા કરવામાં આવી હતી.
પરિક્રમામાં આવતા લાખો લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગને પૂરતા પ્રમાણમાં ડોક્ટર, દવાઓનો જથ્થો અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. પાણી પુરવઠા વિભાગને પણ પરિક્રમા રૂટ પર શ્રદ્ધાળુઓને પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પૂરતા પાણીના પોઇન્ટ્સ ઊભા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આકસ્મિક ઘટનાઓનો સામનો કરવા માટે ફાયર વિભાગને પણ આયોજનબદ્ધ કામગીરી કરવા તાકીદ કરવામાં આવી છે.