ગરવા ગિરનારની લીલી પરિક્રમાનું મોડીરાતે મુહૂર્ત સચવાયું
મર્યાદિત સંતોએ પરંપરા જાળવવા પ્રતિકાત્મક યાત્રા પૂર્ણ કરી
હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી વાતાવરણ ગુંજ્યું
સાધુ-સંતોએ કરેલી પરિક્રમાનું પુણ્ય શ્રદ્ધાળુઓને અર્પણ કરાયું
લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા ન કરી શક્યા તેનું દુઃખ : મહાદેવ ગીરી
જુનાગઢ ખાતે કમોસમી વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે રદ કરવામાં આવી હતી. જોકે, પરંપરા જાળવવા 36 કિમીની પ્રતિકાત્મક પરિક્રમા સાધુ-સંતોએ 12 કલાકમાં પૂર્ણ કરી હતી.
કારતક મહિનાની દેવઉઠી એકાદશીના પાવન અવસરે પરંપરાગત રીતે પ્રારંભ થતી લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદના અતિભારે મારના કારણે જાહેર જનતા માટે રદ કરવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જિલ્લા વહીવટી તંત્ર, સાધુ-સંતો અને પદાધિકારીઓએ સર્વસંમતિથી આ કઠિન નિર્ણય લેવો પડ્યો છે. જોકે, ધાર્મિક પરંપરા જળવાઈ રહે તે માટે દેવદિવાળીની મધ્યરાત્રિએ વિધિવત પૂજન-અર્ચન સાથે લીલી પરિક્રમા માટે પ્રતિકાત્મક મુહૂર્ત કરવામાં આવ્યું હતું, ત્યારે મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતોએ પરંપરા જાળવવા માટે 36 કિમીની ગિરનારની પ્રતિકાત્મક લીલી પરિક્રમા 12 કલાકમાં પૂર્ણ કરી હતી. 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના નાદથી ગિરનારનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે સાધુ-સંતો, જિલ્લા કલેકટર, કમિશનર અને વિવિધ વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ, ગિરનાર તીર્થક્ષેત્રના શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, શૈલજા દેવી માતાજી, કિન્નર અખાડા અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ, પરિક્રમા રદ કરાઈ હોવા છતાં મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો ગિરનાર તળેટીએ જોવા મળ્યો હતો.