Connect Gujarat
ગુજરાત

મહીસાગર : ભાજપના અગ્રણી અને તેમના પત્નીની હત્યા મિત્રએ જ કરી, નાણાની લેતીદેતીમાં ઢાળ્યું ઢીમ

લુણાવાડાના ગોલાના પાલ્લા ગામે થઇ હતી હત્યા, ત્રિભોવન પંચાલ અને જશોદા પંચાલની હત્યા.

X

મહિસાગર જિલ્લાના ગોલાના પાલ્લા ગામે ભાજપના અગ્રણી તથા તેમના પત્નીની હત્યાના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. મૃતક ત્રિભોવનભાઇ અને તેમના પત્નીની હત્યા તેમના જ અંગત મિત્ર ભીખા પટેલે કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપી ભીખા પટેલને પોલીસે ઝડપી પાડી ઘટનાનું રીકનસ્ટ્રકશન કરાવ્યું હતું.

મહિસાગરના ગોલાના પાલ્લા ગામે રહેતાં અને નિવૃત જીવન ગુજારતાં ત્રિભોવન પંચાલ અને તેમના પત્ની જશોદાબેનની હત્યાએ સમગ્ર રાજયમાં ચકચાર મચાવી હતી. તારીખ ચાર ઓગષ્ટની રાત્રિને પતિ અને પત્નીને કુહાડીના ઘા મારી હત્યા કરી હત્યારાઓ ફરાર થઇ ગયાં હતાં. 4 ઓગસ્ટે રાત્રીના સમયે ત્રિભોવનદાસ પંચાલ અને તેમના પત્ની જમી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા ઈસમોએ બુમ પાડીને ત્રિભોવનદાસને બહાર બોલાવ્યા હતા. જેથી તેઓ ઘરની બહાર આવી ઘરના કમ્પાઉન્ડ વોલ પાસે આવેલી લોખંડના દરવાજાનું તાળું ખોલી પરત ઘર તરફ આવતા હતા. તે દરમિયાન હત્યારાઓએ ત્રિભોવનદાસના માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી 3 ઉપરાંત ઘા મારી હુમલો કરી હત્યા કરી નાખી હતી. ઘરના કંપાઉન્ડમાં કઇ અજુગતું બન્યું હોવાનું જણાતાં તેમના પત્ની જશોદાબેન ઘરની બહાર આવી રહયાં હતાં પણ હત્યારાઓએ તેમને પણ હથિયારના ઘા મારી પતાવી દીધાં હતાં. સવારે પતિ અને પત્નીના લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળતાં ચકચાર મચી હતી.

ભાજપના અગ્રણી અને તેમના પત્નીની હત્યા બાદ રાજકીય ક્ષેત્રમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડયાં હતાં. રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ હત્યા કેસનો ભેદ ઉકેલવા પોલીસ અધિકારીઓને સુચના આપી હતી. મહીસાગર એસપી રાકેશ બારોટના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની ટીમે હત્યારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. દરમિયાન પોલીસે મૃતક ત્રિભોવન પંચાલના અંગત મિત્ર ભીખા પટેલની ધરપકડ કરી હતી. પોલીસની ગિરફતમાં આવતાંની સાથે ભીખા પટેલે બેવડી હત્યાના ગુનાની કબુલાત કરી હતી. આરોપીએ ત્રિભોવન પંચાલ પાસેથી 20 હજાર રૂપિયા ઉછીના લીધાં હતાં તે બાબતે ઝગડો થતાં તેણે કુહાડીના ઘા મારી બંનેની હત્યા કરી નાંખી હતી. આરોપી ભીખા પટેલને લઇને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હત્યારા ભીખા પટેલના ચહેરા પર હત્યા કર્યાનો જરાયે રંજ દેખાતો ન હતો. તેણે પોલીસ સમક્ષ ચાર ઓગષ્ટની કાળમુખી રાત્રિએ શું બન્યું હતું તે જણાવ્યું હતું.

Next Story