ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવારણ સર્જાયું છે.ગઈકાલે અનેક જગ્યાએ ભારે પવન અને ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર દેશમાં આગામી સમયમાં એક બાદ એક વાવાઝોડાને કારણે માવઠા થવાની શક્યતા છે. અને આગામી બે દિવસ બાદ એટલે કે 22 ઓકટોબરથી એક સાયકલોનિક સર્ક્યુલેશન અંદમાન નિકોબાર ટાપુમાં બનશે. આ સર્ક્યુલેશનને કારણે વાવાઝોડું થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ વાવાઝોડાની ગતિ 100થી 120 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના વાવાઝોડાની અસર મધ્યપ્રદેશ સુધી તેમજ પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાત રાજ્યમાં પણ જોવા મળશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં દિવાળીના તહેવાર સમયથી જ ઠંડીની શરુઆત થઈ જશે અને 12 નવેમ્બરની આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. જેની અસરથી ઉત્તર ભારતમાં લઘુતમ તાપમાન પાંચ ડિગ્રી સુધી જવાની સંભાવના છે. રાજ્યમાં 22 ડિસેમ્બરથી હાડ થીજાવતી ઠંડી પડી શકે છે.
બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યાનુસાર, ચોમાસાની વિદાઈ પહેલા ફરી એકવાર રાજ્યમાં ચોમાસું જામશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને લઇને યેલો એલર્ટ જાહેર કરાયું છે. તો હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દક્ષિણી ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબી સમુદ્રથી પરથી પસાર થતી સિસ્ટમની અસરને કારણે વરસાદ આવી શકે છે. અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની સંભાવના છે. આગામી 3 દિવસ અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન 36 ડિગ્રી આસપાસ રહી શકે છે. શનિવારે પણ બપોરના સમયે અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જો કે અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી ગરમીથી લોકોને રાહત મળી હતી.