નાંદોદના પશુપાલકની ગ્લોબ સફર
પશુપાલન વ્યવસાયથી મેળવી સફળતા
રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પશુપાલકનું મેળવ્યું બિરુદ
મહિલા સશક્તિકરણનું આદર્શ મોડલ કર્યું પ્રસ્થાપિત
પર્યાવરણમૈત્રી ગણેશજીની મૂર્તિઓની વિદેશ સુધી માંગ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજેશ વસાવાએ સુરતની નોકરીને અલવિદા કહીને વર્ષ 2016માં પોતાના ગામ પ્રતાપપરા આવીને પશુપાલન વ્યવસાયને પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને સ્થાનિક વિકાસનું આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત કરીને લોકોને પ્રેરક સંદેશો પહોંચાડ્યો છે.અને તેઓની ગ્લોબ સુધીની સફરથી તેઓ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પશુપાલકનું બિરુદ મેળવ્યું છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજેશ વસાવાએ સુરતની નોકરીને અલવિદા કહીને વર્ષ 2016માં પોતાના ગામ પ્રતાપપરા આવીને પશુપાલન વ્યવસાયને પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને સ્થાનિક વિકાસનું આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત કરીને લોકોને પ્રેરક સંદેશો પહોંચાડ્યો છે.કોરોના કાળ પછી રાજેશભાઈની સફળતા નવી ઊંચાઈએ પહોંચી છે, જ્યારે તેમણે સરકારની વિવિધ યોજનાઓની મદદથી પશુધન, મિલ્કિંગ મશીન અને શેડ જેવા સાધનો મેળવી પશુપાલન વ્યવસાય સાથે સ્થાનિક મહિલાઓને પણ આર્થિક રીતે સશક્ત બનાવ્યા છે.
આ પ્રસંગે રાજેશ વસાવાએ જણાવ્યું કે, વર્ષ 2016 માં માત્ર બે ભેંસોથી શરૂ કરેલી આ સફર 70 પશુધન સુધી પહોંચી છે. ગીર ગાયની વિશેષતા સમજીને ગૌશાળા સ્થાપી અને દૂધ, દહીં, છાશથી વ્યવસાયનો વિસ્તાર કર્યો છે. રાજ્ય સરકારની પશુધન, શેડ બનાવવા અને મિલ્કિંગ મશીન સહિતની અનેક યોજનાઓનો સદુપયોગ કર્યો છે. જેના કારણે તેઓને જિલ્લા અને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ મળ્યો છે.
વધુમાં રાજેશભાઈએ ઉમેર્યું હતું કે, વર્ષ 2020ની આસપાસ પશુ નિભાવ ખર્ચને સ્થિર કરવા માટે મને ઇકોફ્રેન્ડલી ચીજવસ્તુઓ બનાવવાનો વિચાર આવ્યો હતો. જે બાદ પેન સ્ટેન્ડ, મોમેન્ટો, વારલી પેઇન્ટિંગ ફ્રેમ્સ, મોબાઈલ સ્ટેન્ડ, વોલ હેંગીગ જેમાં હેન્ડમેડ ડિઝાઈન્સ, શિવલિંગ, ફ્રેમ સ્વરૂપે ભગવાનની પ્રતિમાઓ, ડેકોરેટિવ આર્ટિકલ્સ, ધૂપબત્તી, ધૂપકપ, દિવો, મંદિરમાં સજાવટ સહિતની તમામ સામગ્રીઓ બનાવવાની શરૂઆત કરી હતી. દિવાળીમાં ઇકોફ્રેન્ડલી દિવાની બજાર માંગ ખુબ રહે છે.
તેઓએ બાયોટિગ્રેડેબલ, કેમિકલ ફ્રી અને પર્યાવરણ હિતેષી અભિગમ સાથે તૈયાર કરાયેલી ઇકોફ્રેન્ડલી વસ્તુઓની બજાર માંગ વધતાં સ્થાનિક બહેનોને પણ સાથે જોડ્યાં છે, આ સાથે ગણેશજીની મૂર્તિની તાલીમ લીધી, જેમાં તેઓ સાથે 25 જેટલી બહેનો જોડાઈ છે, પોતે સ્વનિર્ભર બની છે અને પોતાના પરિવારને આર્થિક ટેકો આપવા સક્ષમ બની છે. ગુજરાત અને ભારત દેશ સહિત અમેરિકા અને દુબઈ સુધી પર્યાવરણમૈત્રી ગણેશજીની મૂર્તિઓ પહોંચી છે. વજનમાં હલકી આ પ્રતિમાઓનું નદીમાં વિસર્જન કરવાથી પર્યાવરણને કોઈ પણ પ્રકારે નુકસાન થતું નથી તેમજ ઘરમાં વિસર્જન કર્યા બાદ તેનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. અત્યાર સુધી ગણેશજીની 5000થી વધુ ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ ભક્તો-ગ્રાહકો સુધી પહોંચી છે.