Connect Gujarat
ગુજરાત

નર્મદા : PM મોદીની ઉપસ્થિતિમાં સરદાર પટેલ જયંતીની કરાશે ભવ્ય ઉજવણી, નવા નજરાણા બનશે આકર્ષણનું કેન્દ્ર

સરદાર પટેલ જયંતીના અવસરે પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

X

સરદાર પટેલ જયંતી નિમિત્તે એકતાનગરમાં ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે એકતાનગરના મહેમાન

PMના હસ્તે 5 પ્રોજેક્ટના લોકાર્પણ - ખાતમુહૂર્ત કરાશે

એકતાનગરમાં PM મોદી કમલમ પાર્કનું કરશે લોકાર્પણ

ગંગા મૈયાની તર્જ પર માઁ નર્મદાની થશે ભવ્ય આરતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આગામી તા. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાનના આગમન પૂર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગ રંગબેરંગી રોશનીથી શણગારવા આવ્યા છે. આ ઉપરાંત નર્મદા મૈયાની આરતીમાં લાઈટ અને સાઉન્ડ શોનું નજરાણું પણ વિશેષ રૂપથી ઉભું કરવામાં આવ્યું છે. જેને કારણે નર્મદા મૈયાની આરતીનો લાભ લેનારા ભક્તોને આધ્યાત્મિક ભવ્યતા અને દિવ્યતાનો વિશેષ અનુભવ થઇ રહ્યો છે. લાઇટીંગની ભવ્યતાથી ઝગમગ બનેલું એકતાનગર પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર બનશે ગુજરાતના ગ્રીન ગ્રોથની નવી ઓળખ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર પટેલ જયંતીના અવસરે પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

જેમાં 30 ઇ-બસ, 210 પબ્લિક બાઇક શેરિંગ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સિટી ગેસનું વિતરણ તથા એકતાનગરમાં આવતા પ્રવાસીઓના સરળ ટ્રાન્સપોર્ટેશન માટે ગોલ્ફ કાર્ટ્સ જેવી સુવિધાઓનું લોકાર્પણ તેમજ 4 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથેના સોલાર પેનલ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે જ ગ્રીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સસ્ટેનેબલ સોલ્યુશન્સના ભાગરૂપે તેમજ 1.4 મેગાવોટની સોલાર પાવર ઉત્પાદનની હાલની ક્ષમતામાં વધારો કરવા માટે 3 પાર્કિંગ પર સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવાની યોજના છે. જે 4 મેગાવોટ સોલાર પાવર જનરેટ કરશે. આમ, પ્રકૃતિના સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એકતાનગર ખાતે રૂ. 81 કરોડના ખર્ચે નિર્માણ થયેલ સહકાર ભવનનું લોકાર્પણ કરશે. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના આ સહકાર ભવનનું નિર્માણ આર્કિટેક્ટ, PMC, કન્સલ્ટીંગ એન્જિનિયર, ઇન્ટીરિયર વગેરે નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

સહકારી ભવનની વિશેષતાઓની વાત કરીએ તો, ગેસ્ટ હાઉસ બિલ્ડીંગમાં AC, TV તથા WiFi અદ્યતન ફર્નીચર સાથેની વ્યવસ્થા ધરાવતા 5 VIP રૂમ, 28 DELUX રૂમમાં કુલ 360 વ્યક્તિ માટે રહેઠાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટ્રેઇનીંગ/મીટિંગની સુવિધા માટે અંદાજે 300 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા અને અદ્યતન ઓડિયો વિડિયો સીસ્ટમ સાથે ઓડિટોરીયમ પણ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વિશાળ પાર્કિંગની સુવિધા પણ છે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કમલમ પાર્કનું પણ લોકાર્પણ કરશે. રૂપિયા 7.5 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટમાં નર્મદા નદીના કિનારે નર્સરી બનાવવામાં આવી છે. આ નર્સરીમાં મુલાકાતીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે શિક્ષિત કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર આવેલું છે, તેમજ તેમને વિતરણ માટે 91,000 કમલમના છોડ પણ રાખવામાં આવ્યા છે. જે મુલાકાતીઓ માટે એક રસપ્રદ આકર્ષણ બનશે. કમલમ પાર્કએ ખેડૂતોની આવક વધારવા અને આજીવિકાનો નવો વિકલ્પ પૂરો પાડવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત પ્રોજેક્ટ છે.

Next Story