નવસારી : બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં,સરકારી શાળામાં બાળકોને અપાયેલાં દાળ-ભાતમાંથી ગરોળી નીકળતાં ચકચાર
સરકારી શાળાઓમાં બાળકો માટે સરકારે મધ્યાહ્ન ભોજન યોજના અમલી બનાવી છે, જેમાં જરૂરિયાતમંદ પરિવારનાં બાળકો બપોરનું ભોજન શાળામાંથી જ મેળવી શકે
સરકારી શાળાઓમાં બાળકો માટે સરકારે મધ્યાહ્ન ભોજન યોજના અમલી બનાવી છે, જેમાં જરૂરિયાતમંદ પરિવારનાં બાળકો બપોરનું ભોજન શાળામાંથી જ મેળવી શકે એ માટે ખાનગી સંસ્થાઓને તેનો પરવાનો આપી એની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ વર્ષોથી ભોજનની ગુણવત્તા અંગે પ્રશ્નાર્થ ઊભો થતો રહે છે. ત્યારે ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામની ગાંધી ફળિયાની સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પિરસાયેલા ભોજનમાંથી મૃત ગરોળી નીકળી હતી, જેથી બાળકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે. મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ બનેલાં દાળ-ભાત વિદ્યાર્થીઓને પીરસાતાં એમાંથી ગરોળી નીકળી હતી. જોકે સમય સૂચકતા વાપરી શાળાએ તાત્કાલિક વિદ્યાર્થીઓને ભોજન ખાવાનું અને પીરસવાનું અટકાવ્યું હતું. નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન પહોંચાડવાનો પરવાનો આપવામાં આવ્યો છે.