/connect-gujarat/media/media_files/2025/04/23/u3hqkqfOlNN20AHoXNwS.jpg)
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામ ખાતે આવેલ કાવેરી સુગરની આગામી 25 તારીખના રોજ હરાજી થવાની છે. જેના વિરોધમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂતોની સાથે સાથે ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા હતા.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામ ખાતે વર્ષ 2016માં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદી પટેલ દ્વારા ભૂમિપૂજન કરી કાવેરી સુગરને શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગણદેવી સુગરને ચલાવવા માટે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા વર્ષ 2017માં 39 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. જેનું ચુકવણું કરવામાં સુગર મીલ નિષ્ફળ સાબિત થઈ હતી. જેની રકમ 59 કરોડ જેટલી થતાં, હવે હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જેનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. જે તે સમયે ખેડૂતોએ કાવેરી સુગરના શેર પણ લીધા હતા. 2000 રૂપિયા ભરી અને ખાતેદાર બનેલા ખેડૂતો પોતાના પૈસા પરત મેળવવા માટે માંગ કરી રહ્યા છે. પોતાના પૈસા મળ્યા પછી હરાજી થાય તેવી ઈચ્છા ખેડૂતો રાખી રહ્યા છે. પરંતુ આગામી 25 તારીખે કાવેરી સુગરની હરાજી થાય તે પહેલા જ વિરોધના સુર ઉઠ્યા છે.