નવસારી જિલ્લામાં પૂરના પાણી ઉતર્યા બાદ આરોગ્ય વિભાગ કામે લાગી ગયુ છે. નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારના પુરગ્રસ્ત વિસ્તારોમાં જંતુનાશક દવાના છંટકાવ સહિત ઘરે ઘરે સર્વે કરી જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નવસારીમાં વરસેલા 12 ઇંચથી વધુ વરસાદના કારણે શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નવસારીમાં ઠેર ઠેર જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે 2 દિવસ બાદ વરસાદે વિરામ લેતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. પરિસ્થિતિ સામાન્ય બનતા હવે હવે ઠેર-ઠેર ગંદકી જોવા મળી છે. તેવામાં રોગચાળો ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પાણી ઉતર્યા બાદ આરોગ્ય વિભાગની કુલ 271 ટીમ કામે લાગી છે. આ સાથે જ જિલ્લાના 6 તાલુકામાં 300થી વધુ આરોગ્ય કર્મીઓને સર્વેલન્સની કામગીરીમાં લગાડવામાં આવ્યા છે. નવસારી-વિજલપોર નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે, રૂસ્તમ વાડી, વિજલપોર, વિઠ્ઠલ મંદિર અને મિથિલા નગરી સહિતના વિસ્તારનો સર્વે કરી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ જરૂરિયાતમંદોને ક્લોરીનની ટીકડી, ડોક્ષીસાયક્લીન અને પેરાસીટામોલ જેવી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.