બનાસકાંઠામાં બાયપાસ રોડમાં પાલનપુર તાલુકામાં જમીન સંપાદન મુદ્દે વિરોધ બાદ પણ તંત્ર દ્વારા તેઓના પ્રશ્નનું કોઈજ નિરાકરણ આવ્યું નહતું. તેથી 16 ગામના 500 જેટલા ખેડૂતોએ "ખેડૂત બચાવો ખેતી બચાવો"ના આંદોલન સાથે ખોડલા ગામે એક બેઠક કરી આગામી લડતના શ્રી ગણેશ કર્યા હતા.
પાલનપુર શહેરના ફરતે નવા બની રહેલા બાયપાસ રોડમાં જમીન સંપાદન મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. આ બાયપાસ પાલનપુર તાલુકાના 16 ગામમાંથી પસાર થવાનો છે. જેમાં 1500 થી વધુ ખેડૂતો આ બાયપાસ રોડ થી અસરગ્રસ્ત થઈ રહ્યા છે. આ બાયપાસ રોડમાં ક્યાંક 100 મીટર ક્યાંક 70 મીટર જમીન સંપાદન થઈ રહી છે. બાયપાસ રોડમાં જમીન સંપાદનમાં વિસંગતતા અને વધુ જમીન કપાતી હોવાના મુદ્દાઓને લઈને ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી ગામેગામ વિરોધ નોંધાવી રહ્યા છે, પરંતુ તંત્ર કે સરકાર દ્વારા કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નહતું. તેથી હવે ખડુતો આખરે લડી લેવાના મૂડમાં છે, આજે 16 ગામના 500 થી વધુ ખેડૂતો ખોડલા ગામે મહાદેવના મંદિરે એકત્ર થયા હતા અને લડતના મુદ્દાઓ તૈયાર કરી સરકાર સામે બાંયો ચઢાવવાની તૈયારીઓ કરી લીધી છે.
ખોડલા ગામે મળેલી ખેડૂતોની આ બેઠકમાં પાલનપુર ભાજપના વર્તમાન ધારાસભ્ય અનિકેત ઠાકર પણ ખાસ હાજર રહ્યા હતા, તેમને ખેડૂતોએ ખાસ વિનંતી કરી છે કે આગામી દિવસોમાં આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે અને ખેડૂતોના હિતલક્ષી નિર્ણય લેવામાં આવે, અને અનિકેત ઠાકરે ખેડૂતોના પ્રશ્નોને સરકાર સમક્ષ મૂકી તેનું નિરાકરણ લાવવા રજૂઆત કરશે તેવી બાંહેધરી આપી હતી.