Connect Gujarat
ગુજરાત

પાટણ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત બક્ષીપંચ સમાજ દ્વારા સાંસદ બાબુ દેસાઈનો સન્માન સમારોહ યોજાયો...

સાંસદ બાબુ દેસાઈએ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરી સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ સન્માન ફક્ત મારું નહીં, પરંતુ સમગ્ર બક્ષીપંચ સમાજનું છે

X

ગુજરાત બક્ષીપંચ સમાજ દ્વારા કરાયું આયોજન

સાંસદ બાબુ દેસાઈનો સન્માન સમારોહ યોજાયો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

ગુજરાતના પનોતા પુત્ર અને બક્ષીપંચ સમાજનું ગૌરવ બાબુ દેસાઈની રાજ્યસભામાં સાંસદ તરીકે પસંદગી કરવા બદલ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભાર દર્શન અને બાબુ દેસાઈનો ભવ્ય સન્માન સમારોહ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતીમાં યોજાયો હતો.

પાટણ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ગુજરાત બક્ષીપંચ સમાજ દ્વારા સાંસદ બાબુ દેસાઈનો સન્માન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા સભા સ્થળે પહોંચ્યા હતા, જ્યાં લોકોને સંબોધિત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ગૌરવનો દિવસ છે. સ્વર્ણિમ ગુજરાતથી આત્મનિર્ભર ભારતના કાર્યમંત્રને આત્મસાત કરી પોતાનું આગવું પ્રદાન આપનાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે 22 વર્ષ પહેલાં શપથ ગ્રહણ કર્યા હતા.

ત્યારથી લઈને તેઓ વડાપ્રધાન બન્યા ત્યાં સુધી અને આજની તારીખ સુધી તેઓ હંમેશા ગુજરાત પ્રત્યેનો તેઓનો પ્રેમ અને સન્માન દર્શાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યમંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, અને સૌનો પ્રયાસ થકી આઝાદીના આ અમૃતકાળમાં આત્મનિર્ભર ભારત અને આત્મ નિર્ભર ગુજરાત બનાવીએ. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, એસ.સી., એસ.ટી.ના ક્વોટાને તકલીફ ન પડે એ રીતે બક્ષીપંચ સમાજને અનામત જાળવી રાખી છે. બાબુ દેસાઇને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, બાબુ દેસાઈ થકી ગુજરાતનો અવાજ સરકાર સુધી પહોંચશે અને તેનું શ્રેષ્ઠ પરિણામ આવશે તેવો મને વિશ્વાસ છે.

સાંસદ બાબુ દેસાઈએ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરી સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ સન્માન ફક્ત મારું નહીં, પરંતુ સમગ્ર બક્ષીપંચ સમાજનું છે. જેના માટે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શીર્ષસ્થ નેતૃત્વનો આભારી છું.

ગુજરાત બક્ષીપંચ સમાજ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં પૂર્વ મંત્રી રણછોડ રબારી, દિલીપ ઠાકોર, કિર્તિસિંહ વાઘેલા, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી, પૂર્વ સાંસદ દિનેશ અનાવાડિયા, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, માવજી દેસાઈ, સામાજિક અગ્રણી કે.સી.પટેલ સહિત બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને સ્થાનિક નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story