-
તા. 24થી 27 મે સુધી રાજ્યમાં વરસાદને લઈ યલો એલર્ટ
-
દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
-
કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો
-
વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે વરસાદી પાણી
-
માર્ગ પર વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સહિત અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.
હવામાન વિભાગે તા. 24થી 27 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપ્યું છે. અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો-પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદ વરસ્યો હતો. નવસારી શહેરમાં પડેલા વરસાદના કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના પગલે વૃક્ષ ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. નવસારી શહેરમાં આવેલ લુન્સીકુઈ અને સિંધી કેમ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોચ્યા હતા. ફાયરની ટીમ દ્વારા ગણતરીના મિનિટોમાં જ વૃક્ષને કાપી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય વિસ્તારોમાં પાણી ભરાય જવાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની સંભાવના વચ્ચે વલસાડ જિલ્લામાં પણ છેલ્લા 2 કલાકમાં 3.16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાપી અને ધરમપુરમાં નોંધાયો છે. વાપીમાં એક ઇંચ અને ધરમપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ, વાપીમાં મહાનગરપાલિકાની પ્રિ-મોનસુન કામગીરીના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા.
એકથી દોઢ ઈચ વરસાદમાં જ રેલવે ગરનાળુ પાણીથી ભરાય ગયું હતું. વાપી ઇસ્ટ અને વેસ્ટને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વલસાડ જિલ્લાના પારડી, વલસાડ, કપરાડા, ધરમપુર, ઉમરગામ તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે દરિયાકાંઠાના ગામોમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ બન્યો છે.
આ તરફ, સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. તા. 30-31 મે સુધી ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદ વરસે એવી સંભાવનાઓ છે. હાલ પવન ઉતર-પૂર્વ દિશા તરફ 50-60 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. તેવામાં અમરેલીમાં અનરાધાર વરસાદ બાદ તબાહી જોવા મળી હતી.
ગાજવીજ સાથે સાડા ત્રણ ઇંચ વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. અમરેલીના સેન્ટર પોઇન્ટ પર વરસાદી પાણી ભરાયા હતા, જ્યારે લાઠી રોડની અનેક સોસાયટીઓ પાણીમાં તરબતર થઈ હતી. અમરેલી લીલીયા માર્ગ પણ વરસાદી પાણી ભરાવાના લીધે બંધ થયો હતો. લીલીયા માર્ગ પર અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા, ત્યારે PGVCL અને તંત્ર માર્ગ પુનઃ રાબેતા મુજબ કરવા કામે વળગ્યું હતું.