Connect Gujarat
ગુજરાત

રામનવમીએ "હિંસા" : ખંભાતમાં ઉશ્કેરણી કરવા બદલ 3 મૌલવીની અટકાયત, હિંમતનગરમાં કલમ 144 લાગુ...

રામનવમીના અવસરે નીકળેલી શોભાયાત્રામાં હિંસા હિંમતનગર અને ખંભાતમાં થઈ ભારે જૂથ અથડામણ પથ્થરમારો થતાં પોલીસે છોડ્યા ટિયર ગેસના સેલ બન્ને જિલ્લામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ખંભાતમાં ઉશ્કેરણી કરતાં 3 મૌલવીની અટકાયત હિંમતનગર શહેરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયો

X

રામનવમીના પાવન અવસરે નીકળેલી ભગવાન શ્રીરામની શોભાયાત્રા દરમ્યાન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં જૂથ અથડામણ સાથે પથ્થરમારો થતાં મોટો પોલીસ કાફલો ધસી આવ્યો હતો. જોકે, હાલ આ મામલે બન્ને જિલ્લામાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગતરોજ રામનવમીના પર્વે જ ગુજરાતમાં કેટલીક જગ્યાએ શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. હિન્દુ ધર્મના પાવન પર્વ રામનવમીના અવસરે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બાદ આણંદ જિલ્લાના ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. રામસવારી દરમિયાન પથ્થરમારો અને જૂથ અથડામણના બનાવો બનતા લોહીલૂહાણની સ્થિતિ જોવા મળી હતી. સ્થિતિ એવી બદ્દતર બની હતી કે, પોલીસે ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

જોકે, રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિંમતનગર અને ખંભાતમાં પથ્થરમારો અને જૂથ અથડામણના બનાવને પગલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગત રાત્રે સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ ડીજીપી આશિષ ભાટિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હિંમતનગર અને ખંભાતની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરાય છે. હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે. ખંભાતમાં થયેલ પથ્થરમારાની ઘટનામાં પોલીસે 3 મૌલવીઓ ઉશ્કેરણી કરવા બદલ અટકાયત કરવામાં આવી છે, જ્યારે પોલીસે 10થી વધુ તોફાની તત્વોની પણ અટકાયત કરી છે. હિંમતનગરમાં આઇજી કક્ષાના 2 અને SP કક્ષાના 4 અધિકારી તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત RAFની 2 કંપની હિંમતનગરમાં તૈનાત કરાઇ હોવાનું પણ DGPએ જણાવ્યું હતું. સાથે જ ખંભાતમાં પણ તંગદિલી ભર્યા માહોલને લઇને DIG કક્ષાના 2 અધિકારીઓ તૈનાત કરાયા છે. તેમજ પથ્થરમારાના બનાવમાં કનૈયાલાલ રાણા નામની વ્યક્તિનું મોત નીપજ્યુ છે, જે અંગે અસમાજિક તત્વોના ટોળાં વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા અંગે પણ DGPએ જણાવ્યું હતું, તો બીજી તરફ સ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસ સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખી રહી છે.

Next Story