સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં અનરાધાર વરસાદના કારણે નનાનપુર ગામે રોડ પર ગરનાળુ ભાંગી પડતાં આસપાસના 10 ગામો સંપર્કવિહોણા બનતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે, અને રસ્તાઓ ગરનાળા એક જ ઝાટકે તૂટતાં લોકોને એકબીજા ગામે જવાના સંપર્કો તૂટી જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાતિજ તાલુકાના નનાનપુર-આસરોડા ગામ વચ્ચે રોડ પર નનાનપુર તળાવ પાસેનું ગરનાળું રફેદફે થઈ ગયું છે. પાઈપો પાણીના ભારે પ્રવાહથી દૂર દૂર સુધી તણાયા છે. ગરનાળુંમાં મોટુ ગાબડું પડી જતાં આ રસ્તો બંધ થતાં નનાનપુર, આરસોડા, ગઢોડા, રામપુરા સહિતના 10થી વધુ ગામોના સંપર્કો બંધ થઈ જતા તમામ ગામડાઓના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ પણ પાણીનો પ્રવાહ ચાલુ જ છે, જેના કારણે રોડ પણ રફેદફે થઈ ગયો છે. એટલું જ નહી, આજુબાજુના ખેતરોમાંથી વરસાદી પાણી વહેતા આ રસ્તો વારંવાર તૂટી જાય છે. જોકે, સત્વરે આ સમસ્યા ઉકેલાય તેમ પંથકના પ્રજાજનો ઇચ્છી રહ્યા છે.