સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના જાદર ગામે મુધણેશ્વર મહાદેવથી પ્રસિધ્ધ થયેલ ત્રિદિવસીય લોકમેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા હતા. જોકે, વર્ષો જૂની પરંપરા અનુસાર, જો કોઈ વ્યક્તિને ઝેરી જાનવર કરડ્યું હોય તો આ મેળામાં ઝેર ઉતારવાની પણ લોક માન્યતા રહેલી છે.
ગુજરાતની ઓળખ જ મેળાઓથી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે ભાદરવા માસમાં ત્રિદિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખ્ખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આ મેળામાં આવી મુધણેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે, ત્યારે આ મેળા દરમ્યાન મહાદેવને દોઢ લાખથી વધુ શ્રીફળ ચઢાવાય છે, આ સાથે જ ઝેરી જાનવર કરડવાની પણ બાધા આખડી અહી પુરી કરવામાં આવે છે.
ઝેરી જાનવર કરડતા એટલે કે, સર્પદંશની બાધા આખડી અહી માનવામાં આવે છે, તો અહી વેલ-લીમડાના ઝાડ પાસે ઝેર ઉતારવામાં આવે છે, અને જ્યાં સુધી લીમડાના કડવા પાન મીઠા ન લાગે ત્યા સુધી ઝેર ન ઉતરે અને પાન મીઠા લાગે કે, તરત જ ઝેર ઉતરી જાય છે. અહીના સ્થાનક મુધણેશ્વર મહાદેવ પર લોકોને અપાર શ્રધ્ધા છે. જેને લઈને અહી યોજાતા ત્રિદિવસીય મેળા દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. તો લાખ્ખો લોકો સતત 3 દિવસ સુધી આ મેળાને મ્હાલવા આવીને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
જોકે, કોરોના કાળના 2 વર્ષ બાદ જાદર ગામે ફરી એક વખત આ મેળો ધમધમતો થયો છે, ત્યારે મુધણેશ્વર મહાદેવથી ઓળખાતા શિવ મંદીરની સ્થાપના મોઘલ કાળમાં થઇ હતી. તો અહીનું શિવલિંગ પણ અલગ જ છે, જે અંતરમુખી શિવલિંગ છે. આમ તો અન્ય શિવ મંદિરમાં શિવલિંગ ઉપર હોય છે, ત્યારે અહી એક માન્યતા એવી પણ છે કે, અહી શિવ સ્વરૂપ એક નાગ પ્રગટ થયો હતો, અને તે બળતો હોઇ તેને બચાવેલ અને ત્યારથી જ અહી શિવ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. લોકોમાં અહી સર્પ દંશની એવી માન્યતા છે કે, ઝેર ઉતરી જાય અને સર્પ દંશથી પીડીતને શિવ કૃપાથી રાહત મળે છે. આમ આ માન્યતા મુજબ અહી દર વર્ષે શ્રીફળની બાધા પૂર્ણ કરવામાં આવે છે.
સતત 3 દીવસ ચાલતા આ મેળામાં સાબરકાંઠા, અરવલ્લી ઉપરાંત મહેસાણા, પાટણ સહિત રાજ્યના અન્ય જીલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં આવે છે, જ્યાં મહાદેવના દર્શન સાથે ભક્તો મેળો મ્હાલીને આનંદ માણતા હોય છે.