હિંમતનગર પંથકમાં મધરાત્રે વરસ્યો મુશળધાર વરસાદ, લગભગ 20 જેટલી કાર પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પૂર્વ વિસ્તારમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે બેરણાં રોડ, ગાયત્રી મંદિર રોડ અને શારદાકુંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ઉપરાંત સહકારી જીન વિસ્તાર, શગુન સોસાયટી અને શાસ્ત્રીનગરમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.
હિમતનગર ખાતે આવેલી નિકુંજ સોસાયટી અને આસપાસના વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતાં રહેવાસીઓમાં હાહાકાર મચી ગયો હતો. નિચાણવાળા વિસ્તારોમાં આવેલા ખુલ્લા પ્લોટોમાં પાર્ક કરાયેલા વાહનોએ પણ પાણીમાં જળસમાધિ લીધી હતી. એક જ પ્લોટમાં પાર્ક કરાયેલી લગભગ 20 જેટલી કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
વરસાદી પાણીના ભરાવાના કારણે રસ્તાઓ જાણે નદીઓ બની ગયા હતા. લોકોને પોતાના ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું, જ્યારે શહેરના નાગરિકો રાતભર પાણી કાઢવા માટે મથામણ કરતા જોવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકાના કર્મચારીઓએ પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી હોવાની માહિતી મળી છે. પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે, દરેક વર્ષે વરસાદમાં આ જ હાલત સર્જાય છે. પરંતુ પાલિકા તરફથી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. જેથી લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.