Connect Gujarat
ગુજરાત

સોમનાથ : મહારાષ્ટ્રના નાગપુરથી કરાયું બાળકીનું અપહરણ, સોમનાથથી હેમખેમ મળી

સોમનાથ સમુદ્ર કિનારેથી બે દિવસ પહેલા દોઢ વર્ષની બાળકીને માર મારી રહેલા મહારાષ્ટ્રના શંકાસ્પદ શખ્સ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે

X

સોમનાથ સમુદ્ર કિનારેથી બે દિવસ પહેલા દોઢ વર્ષની બાળકીને માર મારી રહેલા મહારાષ્ટ્રના શંકાસ્પદ શખ્સ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં પરપ્રાંતીય શખ્સે ભિક્ષાવૃત્તિ માટે માસુમ બાળકીનું ગત 22 ઓક્ટોબર ના રોજ નાગપુર રેલવે સ્ટેશન નજીકથી અપહરણ કર્યુ હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પૂર્વે તા.13 નવેમ્બર સાંજે સોમનાથ ચોપાટી પર એક શખ્સ શંકાસ્પદ હાલતમાં દોઢ વર્ષની માસુમ બાળકીને માર મારતો હતો. બનાવની પોલીસને જાણ થતા પીઆઈ એન. એમ. આહીર ડીસ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇ માસુમ બાળકી અને તેને મારનાર શખ્સને પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં.શખ્સે બાળકીને બેરહેમીથી માર મારેલો હોવાથી ઇજાઓ પહોંચી હતી. જેથી માસુમની પોલીસે સારવાર કરાવી હતી.

બાદમાં તપાસ કરતાં શખ્સ મહારાષ્ટ્રના અમરાવતીના રહેતો સુરજ પ્રકાશરાવ ખીરડકર હોવાનું જાણવા મળ્યુ હતું. આ શખ્સ બાળકી પોતાના હોવાનો પોલીસ સમક્ષ દાવો કરી રહ્યો હતો. જોકે, તેના લગ્ન ન થયાનું હોવાનું પોલીસને જાણવા મળતા એક તબક્કે પોલીસ સ્ટાફ ચકરાવે ચડ્યો હતો પોલીસે તેની પાસેથી રેલવેની ટિકિટ મળી આવી હતી. ગુજરાત પોલીસે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરવાની સાથે બાળકીના ફોટો સોશિયલ મીડિયામાં મૂકતા આ બાળકી મૂળ અલ્હાબાદ રહેતા અને હાલ ડીલીવરી માટે નાગપુર આવેલા દીપા પ્રેમ ભારથીની પુત્રી હોવાનું અને તે ગુમ થયાની ફરિયાદ નાગપુર પોલીસમાં ગત તા.22 નાં રોજ નોંધણી થઈ હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી સોમનાથ પોલીસે નાગપુર પોલીસ સાથે સંપર્ક કરી બાળકીની ઓળખ કરી હતી. બાળકી મળી હોવા અંગે તેના માતા-પિતાને જાણ કરવામાં આવતા માસુમ બાળકીનો કબ્જો લેવા માટે તેના પરિવારજનો સોમનાથ આવવા નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

Next Story