Connect Gujarat
ગુજરાત

સુરત : ઇસ્કોન મંદિરના પરિસરમાં જ રથયાત્રા ફેરવવામાં આવશે, કોરોનાના લીધે મહંતે લીધો નિર્ણય

ઇસ્કોન મંદિર ખાતેથી દર વર્ષે નીકળે છે રથયાત્રા, રથ ખેંચવા માટે 100થી વધુ લોકોની પડે છે જરૂર.

X

સુરતના ઇસ્કોન મંદિર ખાતેથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને બીજા વર્ષે પર વિધ્ન નડયું છે. ભગવાનના રથને ખેંચવા માટે 100થી વધુ લોકોની જરૂર પડતી હોય છે પણ વહીવટીતંત્રએ માત્ર 60 લોકોને પરવાનગી આપી છે જેના કારણે રથયાત્રા હવે મંદિર પરિસરમાં જ ફેરવવાનો નિર્ણય લેવાયો છે.

રાજય સરકારે અમદાવાદ સહિતના શહેરોમાં શરતોને આધીન રથયાત્રાને મંજુરી આપી છે. અમદાવાદમાં રથયાત્રા નીકળશે જયારે અમુક શહેરોમાં રથયાત્રા સાદગીથી યોજવાનો નિર્ણય લેવાયો છે. સુરતની વાત કરવામાં આવે તો ઇસ્કોન મંદિર ખાતેથી છેલ્લા 27 વર્ષથી અષાઢી બીજના પાવન અવસરે પ્રભુ પરિવારની રથયાત્રા કાઢવામાં આવે છે પણ છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસના કારણે રથયાત્રા નીકળી શકતી નથી.

સરકારે કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે રથયાત્રા કાઢવા જણાવ્યું છે પણ સુરત ઇસ્કોન મંદિરના મહંતે રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં જ ફરશે તેવી જાહેરાત કરી છે. મંદિર પ્રશાસન તરફથી મળતી માહિતી મુજબ તમામ ભક્તજનોનું વેક્સિનેશન પૂર્ણ થઇ ગયું છે. તેમ છતાં તેમની પાસેથી RT-PCR ટેસ્ટ માંગવામાં આવ્યો હતો. આ ઉપરાંત રથ ખેંચવા માટે 100 ભક્તજનોની જરૂરિયાત હોય છે, જેમાં સુરત પોલીસ દ્વારા માત્ર 60 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે.

આ વિસંગતતાના કારણે રથયાત્રાને શહેરમાં ફેરવવાના બદલે માત્ર મંદિર પરિસરમાં ફેરવવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત પોલીસે રથયાત્રાને રેલવે સ્ટેશનના બદલે મોરા ભાગોળ ખાતેથી કાઢવા માટે જણાવ્યું હતું. પોલીસ તંત્રની આકરી શરતોના પગલે ટ્રસ્ટીઓએ રથયાત્રાને માત્ર મંદિર પરિસરમાં જ ફેરવી લેવાનું નકકી કર્યું છે. વધુમાં ભકતોને મંદિરમાં આવી અથવા ઘરે બેઠા ઓનલાઇન રીતે ભગવાનના દર્શન માટે અપીલ કરવામાં આવી છે.

Next Story