-
રાજપરની વાડીમાં 120 ફૂટ ઉંડા કૂવામાં પડ્યા 3 સાપ
-
બનાવની જાણ થતાં જ જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા
-
પલંગ સાથે દોરડા બાંધી જીવદયા પ્રેમી કૂવામાં ઉતર્યા
-
ભારે જહેમત સાથે ત્રણેય સાપનું રેસક્યું કરવામાં આવ્યું
-
ત્રણેય સાપને રેસક્યું કરી જંગલ વિસ્તારમાં મુક્ત કરાયા
સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકાના રાજપર ગામની વાડીમાં રહેલા 120 ફૂટ ઉંડા કૂવામાં 3 સાપ પડી ગયા હતા. જેઓને જીવદયા પ્રેમીઓ દ્વારા ભારે જહેમત સાથે રેસક્યું કરી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી સાપોના અવાર નવાર રેસ્કયુઓ જોવા મળે છે. સર્પ રેસ્કયુરરોના મતે દરરોજના 3થી 5 જેટલા સરેરાશ સર્પ રેસ્કયુ આવતા હોય છે, ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં સર્પ રેસ્કયુ સાથે સર્પદંશના પણ કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ધ્રાંગધ્રા શહેરમાં જીવદયાપ્રેમી જયેશકુમાર ઝાલા દ્વારા 10 વર્ષથી નિ:શુલ્ક સર્પ રેસ્કયુ કરી જીવદયાનું ઉમદા કાર્ય કરવામાં આવે છે.
ગુજરાત સરિસૃપ સંરક્ષણ સોસાયટી સાથે સંકળાયેલા જયેશ કુમાર ઝાલા દ્વારા અત્યાર સુધીમાં 5થી 7 હજાર જેટલા ઝેરી તથા બીન ઝેરી સાપોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યા છે, ત્યારે ધાંગધ્રા તાલુકાના રાજપર ગામે મહેશ સરેવાડીયાની વાડીમાં રહેલા 120 ફૂટ ઉંડા કૂવામાં 3 સાપ જોતા વાડી માલિકે જીવદયા પ્રેમી જયેશકુમાર ઝાલાને જાણ કરતા તેઓએ તાત્કાલિક જયેશ ઝાલા, હેમંત દવે, ઓમ ઝાલા, પુષ્પરાજ ઝાલા સહિત તેમની ટીમના સભ્યો સાથે વાડી ખાતે દોડી આવ્યા હતા, જ્યાં કૂવામાં રહેલા ત્રણેય સાપનું ભારે જહેમત સાથે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. ત્રણેય સાપનું સહી સલામ રીતે રેસક્યું કરી લેતા લોકોએ જીવદયા પ્રેમીઓનો આભાર માન્યો હતો. ત્યારબાદ ત્રણેય સાપને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા હતા.