Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : પ્રેમમાં નડતરરૂપ બાળકને માતાએ પ્રેમી સાથે મળી મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે કરી ધરપકડ...

સુરેન્દ્રનગરમાં પોતાના 2 વર્ષીય બાળકને પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દેનાર માતા અને તેના પ્રેમીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

સુરેન્દ્રનગરમાં પોતાના 2 વર્ષીય બાળકને પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દેનાર માતા અને તેના પ્રેમીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં ગુન્હાખોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે જીલ્લામાં માતાની ગરિમાને લાંછનરૂપ બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. જેમાં એક માતાએ જ પોતાના 2 વર્ષીય બાળકને પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૂળ સાવરકુંડલા અને હાલ વઢવાણ પોતાના પ્રેમી સાથે રહેતી માતા હુસેના વાઘેરના લગ્ન 8 વર્ષ પહેલાં સાવરકુંડલા ખાતે સલીમ રફાઈ સાથે થયા હતા, અને બન્નેના લગ્નજીવન દરમિયાન 2 સંતાનોમાં મોટો પુત્ર રેહાન હાલ ઉમર 4 વર્ષ અને 2 વર્ષીય નાનો પુત્ર આર્યન હતા, ત્યારે અવારનવાર બન્ને પતિ-પત્ની વચ્ચે ઘરકામ સહિતની બાબતો અંગે ઝઘડાઓ તેમજ બોલાચાલી થતી હતી.

આથી છેલ્લા 3 વર્ષથી હુસેના બન્ને બાળકોને લઈને પિયર રાજકોટ ખાતે રહેવા જતી રહી હતી, જ્યારે પતિ સલીમ પણ રાજકોટ ખાતે સાસુની બાજુના મકાનમાં અલગ રહેતો હતો. જોકે, છેલ્લા 6 મહિનાથી માતા હુસેના વારંવાર બન્ને બાળકોને માર મારતી હોવાથી પતિ કંટાળી વતન સાવરકુંડલા ખાતે રહેવા આવી ગયો હતો, જ્યારે છેલ્લા દોઢ બે મહિનાથી માતા હુસેના પ્રેમી જાકિર અને નાના પુત્ર આર્યન સાથે વઢવાણ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેવા લાગી હતી, જ્યારે પ્રેમી અને માતા બન્ને અવારનવાર પુત્ર આર્યનને મારમારતા હતા, અને પુત્ર રડતો હોય કે, જીદ કરે તો બન્ને પ્રેમીઓને ખટકતો હતો, જેથી બન્નેના પ્રેમ પ્રકરણમાં પુત્ર આર્યન નડતરરૂપ બની ગયો હતો. આથી હુસેના અને પ્રેમી જાકિરે પુત્ર આર્યનને રોષે ભરાઈ કોઈ બોથડ પદાર્થ વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ બાળકને સારવાર માટે રાજકોટ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું. આથી પુત્રની અંતિમવિધિ માટે પિતા સલીમને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા, જ્યાં મૃત બાળકને જોતા શરીરના ભાગે લાલ તથા કાળા કલરના માર વાગવાના નિશાન જોવા મળતા તેઓએ પુત્રના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવતા રિપોર્ટમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેમાં આર્યનનું મોત માર મારવાથી થયું હોવાનું ખુલ્યું હતું. આથી પુત્રની હત્યા અંગે સુરેન્દ્રનગર બી’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ પુત્રની હત્યા નીપજાવનાર માતા હુસેના વાઘેર અને પ્રેમી જાકીર ફકીરને ઝડપી પાડ્યા હતા, જ્યારે બન્નેએ હત્યાની કબૂલાત કરતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story