/connect-gujarat/media/post_banners/dcd28de67cbb9c494642546deac94407a1be23d584410a4b3a60b09b75420eeb.jpg)
સુરેન્દ્રનગરના ચોટીલા-રાજકોટ હાઇવે પર એમ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત 3 લોકોના મોત નીપજ્યાં છે.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સનો ગત રાત્રે આપાગીગાના ઓટલા નજીક ટ્રક સાથે અકસ્માત થતાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી સાથે રહેલા તેમનાં બેન તથા દીકરી સહિત એમ્બ્યુલન્સ ડ્રાઇવરના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. ગત રાત્રે સાડા દસ વાગ્યા આજુબાજુ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતાં 35 વર્ષીય કાજલ મકવાણા ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની 18 વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યા હતા, ત્યારે તેમનાં રાજકોટમાં રહેતાં બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યા હતા. ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ લઇ જવા જણાવ્યું હતું. આ સમયે સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ વર્ધી લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઇ જવામાં આવી રહ્યા હતા. જેમાં દર્દી કાજલ મકવાણા અને સાથે તેમની દીકરી પાયલ મકવાણા અને તેમનાં મોટા બેન અને બનેવી તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળ્યા હતા. આ દરમિયાન ચોટીલાથી રાજકોટ તરફ આપાગીગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં એક સાઈડનો કૂચડો બોલી ગયો હતો. સ્થાનિકોએ 108ને જાણ કરતાં 108ની મદદથી બધા દર્દીઓને ચોટીલા રેફરલ હોસ્પિટલ લાવવામાં આવતા ફરજ પરના તબીબે ગીતા મિયાત્રાને મૃત જાહેર કર્યાં હતાં. તેમજ પાયલ મકવાણા અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિજય બાવળિયાને 108 મારફતે રાજકોટ રિફર કરાયા હતા. જે બન્ને ઇજાગ્રસ્તો પણ રાજકોટ પહોચે તે પહેલાંજ મૃત્યુ પામ્યા હતા.